Allahabad,તા,25
અલ્હાબાદ હાઈકોર્ટે વૃદ્ધ દંપતીની વચ્ચે ગુજરાન ભથ્થાંને લઈને ચાલી રહેલી લાંબી કાયદાકીય લડત અંગે મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું, લાગે છે કે કળયુગ આવી ગયો છે અને આવી કાયદાકીય લડત ચિંતાનો વિષય છે.
મામલો અલીગઢનો છે. ત્યાં 80 વર્ષના મુનેશ કુમાર ગુપ્તા આરોગ્ય વિભાગમાં સુપર વાઈઝરના પદ પરથી રિટાયર થઈ ગયા છે. તેમની પત્ની ગાયત્રી દેવી (76 વર્ષ) ની વચ્ચે 2018થી સંપત્તિ વિવાદ ચાલી રહ્યો છે. મામલો પોલીસ પાસે પહોંચ્યો અને તેને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર ટ્રાન્સફર કરી દેવાયો. જોકે, વાતનો કોઈ ઉકેલ આવ્યો નહીં. તે બાદ બંને અલગ રહેવા લાગ્યા.
પત્નીએ ગુજરાન ભથ્થું માગ્યુ
ગાયત્રી દેવીએ ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અને કહ્યું કે પતિનું પેન્શન લગભગ 35 હજાર રૂપિયા છે. તેમણે આજીવિકા માટે દર મહિને 15 હજાર રૂપિયા આપવાની માગ કરી પરંતુ ફેમિલી કોર્ટે 16 ફેબ્રુઆરીએ પોતાના આદેશમાં 5 હજાર ગુજરાન ભથ્થું આપવા માટે કહ્યું. પતિએ આને હાઈકોર્ટમાં પડકાર આપ્યો, જેની પર હવે સુનાવણી ચાલી રહી છે.
આવી કાયદાકીય લડત ચિંતાનો વિષય
જસ્ટિસ સૌરભ શ્યામ શમશેરી આ અરજી પર સુનાવણી કરી રહ્યાં છે. તેમણે ટિપ્પણી કરતાં કહ્યું, લાગે છે કળયુગ આવી ગયો છે અને આવી કાયદાકીય લડત ચિંતાનો વિષય છે. તેમણે દંપતીને સલાહ આપવાનો પણ પ્રયત્ન કર્યો.
ગાયત્રી દેવીનું કહેવું હતું કે અમે ગુજરાન ભથ્થું માગ્યુ હતું અને ફેમિલી કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. તે બાદ પતિએ કોર્ટના આદેશને પડકાર આપ્યો છે. હાલ, હાઈકોર્ટે ગાયત્રી દેવીને નોટિસ જારી કરી છે અને કહ્યું, અમને આશા છે કે આગામી સુનાવણી સુધી તે કોઈ સમાધાન સુધી પહોંચી જશે.