Washington,તા.03
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ ભારત પરનો ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવા સંમત થયું છે. ટ્રમ્પનો આ દાવો ભારતની ઊર્જા નીતિ અને ભારત-રશિયા વચ્ચેના મજબૂત સંબંધો મામલે ગંભીર માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત-રશિયા વચ્ચે તેલ અને ઊર્જા સેક્ટરમાં સહયોગ ચાલી રહ્યો છે, જે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીનો ભાગ છે. જોકે ટ્રમ્પે પોતાના દાવા પાછળ કોઈ ચોક્કસ કારણ કે સમયમર્યાદા સ્પષ્ટ જણાવી નથી. ટ્રમ્પના દાવા પર એ સવાલ થવો સ્વાભાવિક છે કે, શું ભારત પોતાની ઉર્જા નીતિમાં કોઈ મોટો ફેરફાર કરશે? ભારત સરકારે રશિયા પાસેથી તેલ ખરીદી મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. આ કારણે હજુ સુધી ટ્રમ્પના દાવાની સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી.
સોમવારે સાંજે ટ્રમ્પ (US President Donald Trump) અને વડાપ્રધાન મોદી (PM Narendra Modi) વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે, રાષ્ટ્ર્પ્રમુખ અને પીએમ મોદી વચ્ચે ફોન પર વાત થઈ છે અને ટૂંક સમયમાં મોટી જાહેરાત થવાની છે. આના થોડા કલાકમાં જ અમેરિકાએ ભારત પરનો ટેરિફ દર ઘટાડ્યો છે.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર, પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. આ પગલાથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવામાં મોટી મદદ મળશે તેમ માનવામાં આવે છે. ટ્રમ્પે અમેરિકા દ્વારા ભારત પર લેવામાં આવતા રેસીપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff) ને 25%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત કરી છે. સામે પક્ષે, ભારત પણ અમેરિકા સામેના તેના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને ‘શૂન્ય’ કરવા માટે આગળ વધશે.
ટ્રમ્પે Truth Social પર પોસ્ટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘આજે સવારે ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરવી એ મારા માટે સન્માનની વાત હતી. અમે વ્યાપાર અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત સહિત અનેક બાબતો પર ચર્ચા કરી. તેઓ રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુનાઇટેડ સ્ટેટ્સ તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી ઘણું વધારે તેલ ખરીદવા માટે સંમત થયા છે. આનાથી યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે, જ્યાં અત્યારે દર અઠવાડિયે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે!’
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘તાત્કાલિક અસરથી અમે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચે એક વ્યાપાર સોદા પર સહમતિ સાધી છે, જેના દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઘટાડેલો રેસિપ્રોકલ ટેરિફ (પરસ્પર ટેક્સ) વસૂલશે, જેને 25% થી ઘટાડીને 18% કરવામાં આવશે. તેઓ એ જ રીતે યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધના તેમના ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોને ઘટાડીને શૂન્ય (ZERO) કરવા તરફ આગળ વધશે.’
તેમણે એમ પણ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીએ 500 અબજ ડોલરથી વધુના યુ.એસ. એનર્જી, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણી પ્રોડક્ટ્સ ખરીદવા ઉપરાંત મોટા પાયે ‘બાય અમેરિકન’ (અમેરિકન વસ્તુઓ ખરીદવા) માટે પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. ભારત સાથેના અમારા અદ્ભુત સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.

