New Delhi, તા.17
2023નો મહિલા અનામત ખરડો રાતોરાત લાગુ કરવા પાછળ સરકારની મહેચ્છા અંગે જબરો સસ્પેન્સ સર્જાયો છે. એક તરફ સંસદમાં 2023ના કાનૂનમાં સુધારા ખરડો રજૂ કરાયો હતો. સરકારે 2023માં જ્યારે આ કાનૂન મંજુર કરાવ્યો તો તે સમયે એવી જોગવાઇ કરી હતી કે 2026ની વસ્તી ગણતરીના આધારે જે નવું સિમાંકન થાય તેને ધ્યાનમાં રાખીને મહીલા અનામતની 33 ટકા બેઠકો નિશ્ચિત થશે.
હવે નવા સિમાંકન મુદ્દે એક તરફ સંસદમાં સરકાર માટે તે ખરડો મંજુર કરાવવો તે અઘરો બની ગયો છે. તો બીજી તરફ મહિલા અનામત ખરડામાં સરકારે જે સુધારો રજૂ કર્યો તેમાં એવી જોગવાઇ કરી છે કે 2026 નહીં પરંતુ 2011ની વસ્તી ગણતરીના આધારે મહિલા અનામત નિશ્ચિત થશે. જો કે સંસદમાં આ ખરડો મંજુર કરાવવામાં સરકાર પાસે બે તૃતીયાંશ બહુમતી કઇ રીતે હાંસલ કરશે તે પ્રશ્ન હતો.
લોકસભામાં ભાજપ સહિતના એનડીએને 293 સાંસદોનો ટેકો છે પરંતુ આ સુધારા ખરડો મંજુર કરાવવામાં લોકસભામાં 360 સાંસદોની સંમતિની જરુરી છે. જે બે તૃતીયાંશ બહુમતિ છે. આમ સરકાર પાસે બહુમતી નહીં હોવાથી ખરડો મંજુર થવા અંગે પ્રશ્ન હતો. એનડીએના 293 ઉપરાંત 7 અપક્ષ સાંસદો અને અન્ય પક્ષો જેમાં વાયએસઆર કોંગ્રેસ, એઆઇએમ, શીરોમણી અકાલીદળના સભ્યો અનિશ્ચિત છે.
સરકારને આ ખરડો મંજુર કરાવવામાં 3 મુખ્ય વિપક્ષ સમાજવાદી-37 સાંસદ, તૃણમુલ કોંગ્રેસ-28 સાંસદ અને ડીએમકે-22 સાંસદમાંથી કોઇપણ બે પક્ષોના સાંસદો ગેરહાજર રહે તો શક્ય બને છે અને જો લોકસભામાં આ ખરડો મંજુર ન થાય તો રાજ્યસભામાં તે લઇ જઇ શકાય નહીં. રાજ્યસભામાં પણ એનડીએના 143 સભ્યો છે જ્યારે વિપક્ષ પાસે 83 મતો છે.
અહીં પણ સરકારને બે તૃતીયાંશ બહુમતિ માટે 163 સભ્યોની બહુમતી જરુરી છે. ભાજપે સ્વીકારી લીધું હતું કે તેની પાસે મહત્વના ખરડા મંજુર કરાવવા બે તૃતીયાંશ બહુમતિ નથી અને તેથી તેણે રાતોરાત 2023નો મહિલા અનામત ખરડોનું જાહેરનામુ બહાર પાડી આમ સરકાર એવો દાવો કરી રહી છે કે મહિલા અનામત આપવા તે તૈયાર છે પણ વિપક્ષ તે માટે સહકાર આપતો નથી.
જો કે જુના ખરડામાં 2026ની વસ્તી ગણતરી અને ત્યારબાદ નવું સિમાંકન આ બધી પ્રક્રિયા પછી પણ 2029માં તે લાગુ થઇ શકે કે કેમ તે પણ પ્રશ્ન સર્જાવવા લાગ્યો છે. આમ ફરી એક વખત મહિલા અનામત ખરડો રાજકીય દાવપેચનો ભોગ બન્યો છે.

