વિનોદભાઇ માછી નિરંકારી
દ્વારપાળ મહેલની અંદર ગયો અને શ્રીકૃષ્ણને વંદન કરીને બોલ્યો કે માલિક ! બહાર એક બ્રાહ્મણ આવ્યો છે, ફાટેલી પોતડી પહેરી છે, શરીરના હાડકાં દેખાય છે, શરીર અત્યંત દુર્બળ છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે પણ મુખ પર દિવ્ય તેજ છે. અમે તેમનું સન્માન કરીએ તો તે કાંઇ લેતો નથી અને કહે છે કે હું માગવા નહિ પણ મળવા આવ્યો છું. મારે માલિકના દર્શન કરવાં છે, હું માલિકનો મિત્ર છું, મારૂં નામ સુદામા છે અને જેવા આ ત્રણ અક્ષરનો શબ્દ ‘સુદામા’ પ્રભુને કાને પડ્યોને પ્રભુ એકદમ પલંગ પરથી કૂદ્યા છે, માલિકને આસપાસનું કશું ભાન રહ્યું નથી, કોઈ ક્ષોભ, કોઈ સંકોચ યાદ રહ્યો નથી, પોતાનું ઐશ્વર્ય ભૂલીને તે જાણે એક સામાન્ય માનવી બની ગયા છે, એક મિત્ર બની ગયા છે અને તે દોડ્યા છે, દ્વારપાળ જોડે આગળની વાત સાંભળવા પણ રોકાયા નથી કે નથી આસપાસ જોયું. ભગવાન દોડતા દોડતા સુદામાને મળવા ગયા છે. બૂમો પાડતા જાય છે ક્યાં છે? મારો સુદામા ક્યાં છે?
રૂકિમણીજીને અને સર્વને આશ્ચર્ય થયું છે. ઘણા મળવા આવી ગયા પણ માલિક કોઈ દિવસ આવા પાગલ સરીખા થઇ સામે મળવા દોડ્યા નથી. આજે તો પલંગમાંથી કૂદકો મારીને શ્રીકૃષ્ણ દોડતા સુદામાને સામે મળવા ગયા છે અને જ્યાં સુદામાને જોયા કે સુદામાને ભેટી પડે છે. સુદામાને છાતી સરસો ચાંપ્યો છે. સુદામાની દશા જોઈને માલિકને અતિશય દુઃખ થયું છે, આંખમાંથી ચોધાર આંસુ નીકળે છે. પ્રભુ વિચારે છે કે “મારા મિત્રની શું આ દશા?’’ આ તો મારી ભૂલ છે. આવા પવિત્ર બ્રાહ્મણ ઘેર તેની ખબર લેવા મારે જવું જોઈતું હતું, તેને મળવા જઈ મારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું, ઉલટું તે મારે ઘેર આવ્યો એટલે કહે છે કે “મિત્ર તું આવ્યો તે સારૂં થયું, મને અતિ આનંદ થયો છે.”
સુદામા વિચારે છે કે મને કનૈયાએ યાદ રાખ્યો છે. તે મને ભૂલી ગયો નથી. આટલો બધો વૈભવ હોવાં છતાં મારા માટે તે કશાની યે પરવા કર્યા વગર દોડતો આવ્યો. શ્રીકૃષ્ણ હાથ પકડીને સુદામાને મહેલની અંદર લઇ ગયા છે અને પલંગ પર સુદામાને બેસાડી પોતે તેના ચરણમાં નીચે બેઠા છે. આ દ્રશ્યની કલ્પના કરવા જેવી છે. જે પલંગ પર બેસવાનો શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈનો અધિકાર નથી તે પલંગમાં સુદામા બેઠા છે અને સુદામાના ચરણ આગળ, ત્રણે લોકનો માલિક જમીન પર બેઠો છે. માલિક રૂક્મિણીજીને કહે છે કે મારે મારા મિત્રની પૂજા કરવી છે, જલ્દી તૈયારી કરો. રૂક્મિણીજી જળ લેવા ગયા છે. રૂક્મિણી જળ લાવે તે પહેલાં સુદામાનાં ચરણ માલિક પોતાની આંખમાંથી નીકળતા આંસુઓથી પખાળે છે. પ્રેમની આ પરાકાષ્ઠા છે.! કવિઓ આ પ્રેમની પરાકાષ્ઠાના પ્રસંગમાં પાગલ થઇને તેનું વર્ણન અનેક કવિતાઓ રચીને કર્યું છે. નરોત્તમ કવિએ કહ્યું છે કે
દેખી સુદામાકી દીન દશા, કરૂણા કરકે કરુણાનિધિ રોયે,
પાણી પરાત કો હાથ છૂયો નહિ, નૈનનકે જલસે પગ ધોયે
સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા. આખો દિવસ જપ કરતા એટલે પગમાં જોડા પહેરતા નહિ. તેથી પગમાં અનેક કાંટાઓ વાગેલા હતા. પ્રભુ પોતાના અશ્રુજળથી સુદામાના પગ પખાળે છે અને સાથોસાથ સુદામાના પગના કાંટા પણ કાઢે છે ! એક કાંટો જરા વધારે ઊંડો પેસી ગયેલો, એ કાંટો છે સુદામાના પગમાં પણ ખૂંચે છે શ્રીકૃષ્ણના હૃદયમાં..! ભગવાને રૂક્મિણીને કહ્યું કે દેવી કાંટો કાઢવા સોય લાવો. રૂક્મિણી સોય લેવા ગયાં. રૂક્મિણીને સોય લઇ આવતાં વિલંબ થયો તે માલિકથી સહન થતું નથી, તેમનાથી રહેવાયું નહિ અને સુદામા ચરણને પોતાના બે હાથથી પકડી પોતાના દાંતો વડે કાંટાને કાઢવા લાગ્યા..! સુદામા કહે છે કે મિત્ર, તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તેમને ક્ષોભ થશે, તું રાજાધિરાજ થઇને આમ મુખથી કાંટો કાઢે તે યોગ્ય નથી. પ્રભુ કહે છે કે તું શું બોલે છે? હું તો તારો સેવક છું, તારો કનૈયો સંપત્તિમાં સાનભાન ભૂલ્યો નથી. ભગવાને દાંતો વડે કાંટો કાઢ્યો છે, આજે શ્રીકૃષ્ણ પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયા છે, તે ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજાધિરાજ છું,હું ઈશ્વર છું.
સુદામાને શંકા હતી કે હું ગરીબ છું તેથી શ્રીકૃષ્ણ મારૂં અપમાન તો નહિ કરેને? તેમની આવી શંકાનો કાંટો પણ પ્રભુએ નિર્મૂળ કર્યો છે. સુદામા નિષ્પાપ હતા તેથી ભગવાને તેમનો કાંટો દાંત વડે કાઢ્યો છે. ગરીબ થવું એ ગુનો નથી પણ ગરીબીમાં ભગવાનને ભૂલી જવા તે ગુનો છે,પાપ છે. સ્નાન થયું, શ્રીકૃષ્ણે સુદામાને નવું પીતાંબર પહેરવા આપ્યું છે. ભોજન થયું, તે પછી સુદામાને પલંગ પર બેસાડીને શ્રીકૃષ્ણ તેની સાથે વાતે વળગ્યા છે. બ્રાહ્મણશ્રેષ્ઠ ! શું તમને તે સમયની વાત યાદ છે, જ્યારે આપણે બંન્ને એક સાથે ગુરૂકૂળમાં રહેતા હતા. ખરેખર ગુરૂકૂળમાં જ દ્વિજ બનેલા દ્વિજપૂત્રને જાણવા યોગ્ય વસ્તુનું જ્ઞાન થાય છે, જેના દ્વારા તેઓ અજ્ઞાનરૂપી અંધકારથી પાર થઇ જાય છે. મિત્ર ! આ સંસારમાં શરીરનું કારણ જન્મદાતા પિતા પ્રથમ ગુરૂ છે, ત્યારપછી ઉપનયન સંસ્કાર કરીને સત્કર્મોનું શિક્ષણ આપનાર બીજા ગુરૂ છે, તે ભગવાન જેવા પૂજ્ય છે, ત્યારપછી જ્ઞાનોપદેશ કરીને પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ગુરૂ તો મારૂં જ સ્વરૂપ છે. આ સંસારમાં માનવના ત્રણ ગુરૂ હોય છે. ગુરૂના સ્વરૂપમાં સ્વયં હું છું. આ સંસારમાં વર્ણાશ્રમીઓમાં જે લોકો પોતાના ગુરૂદેવના ઉપદેશ પ્રમાણે અનાયાસે જ ભવસાગર પાર કરી જાય છે.
મિત્ર ! સાચું કહું, હું તો સંસારથી કંટાળી ગયો છું, ગૃહસ્થાશ્રમમાં શાંતિ ક્યાં છે? આપણે ગુરૂકુળમાં હતા, તે વખતે જે આનંદ મળતો હતો તેવો આનંદ હવે ક્યાં છે? મિત્ર ! તને તો નાનપણથી રમવાની ટેવ નહિ, આખો દિવસ તું ગાયત્રી-મંત્રના જાપ કરતો. હું તને પરાણે રમવા લઇ જતો. મિત્ર,તને યાદ છે એક દિવસ આપણે દર્ભ-સમિધ લેવા ગયા હતા તે દિવસે ઋતુ વિના જ બહુ ભારે આંધિ અને વરસાદ આવી ગયો. આખી રાત એક ઝાડની ડાળ ઉપર ઉભા રહ્યા હતા ? તે દિવસે બનેલું આવું કે સુદામા પાસે થોડા ચણા હતા તે પોતે ખાતા હતા. ખાવાનો અવાજ સાંભળીને શ્રીકૃષ્ણે પૂછ્યું કે મિત્ર તું શું ખાય છે? સુદામા એ વિચાર્યું કે ભૂખ બહુ લાગી છે અને ચણા થોડા છે, ચણા ખાઉં છું એમ કહીશ તો થોડા ચણા આપવા પડશે, તો મારા માટે શું રહેશે? એટલે કહ્યું કે આ તો ઠંડીના લીધે દાંત કડકડ થાય છે. સુદામા ખોટું બોલેલા, એકલા ખાધું એટલે દરિદ્ર થયેલા.
આપણા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા હતા, એમાં તો શંકા નથી કે ગુરૂદેવની કૃપાથી જ મનુષ્ય શાંતિનો અધિકારી બનીને પૂર્ણતાને પ્રાપ્ત થાય છે.
શ્રીકૃષ્ણને જાતે સુદામાના ચરણની સેવા કરતા જોઈ રૂક્મિણી વગેરે આશ્ચર્યમાં પડી ગયા છે. આવો પ્રેમ માલિકે કોઈ દિવસ બતાવ્યો નથી, બ્રાહ્મણ મહા ભાગ્યશાળી છે. શ્રીકૃષ્ણ સુદામા જોડે વાતો કરતાં કરતા પૂછે છે કે મિત્ર તમે તમારા યોગ્ય સ્ત્રી સાથે લગ્ન કર્યા કે નહી? હું જાણું છું કે તમે ગૃહસ્થી હોવા છતાં પણ તમારૂં ચિત્ત વિષયભોગોમાં આસક્ત નથી. મને એ પણ ખબર છે કે ધન વગેરેમાં પણ તમને કોઇ પ્રેમ નથી. સાચા જ્ઞાની લોકો એવા હોય છે જે ભગવાનની માયારચિત વિષય-સબંધી વાસનાઓનો પરીત્યાગ કરી દે છે અને ચિત્તમાં વિષયોની સહેજપણ વાસના ન હોવા છતાં પણ મારી જેમ માત્ર લોકસંગ્રહ માટે જ કર્મ કરે છે. મારાં ભાભી કેવાં છે? સુદામા કહે છે કે લગ્ન થયા છે, પત્ની લાયક છે, બાળકો છે, પરંતુ કહ્યું નથી કે ઘરમાં ખાવાનું નથી. મિત્ર ! તારી ભાભીમાં નામ પ્રમાણે ગુણો છે, સુશીલ છે, તેના કહેવાથી જ તને મળવા આવ્યો છું. શ્રીકૃષ્ણ કહે છે કે મારાં ભાભી લાયક છે તો તેમણે મારા માટે જરૂર કંઈક મોકલ્યું હશે, તે ભેટ મને આપ.
લક્ષ્મીરૂપ રૂક્મિણીજી કહે છે કે નાથ,આ ગરીબ બ્રાહ્મણ તમને શું આપશે? તમારે તેને કંઈક આપવું જોઈએ. તમે આજ્ઞા કરો તો તમારા મિત્રને ઘેર ઘણું મોકલું. કૃષ્ણ કહે છે કે મારે તેને કંઈ આપવું નથી, મારે તો મિત્રનું ખાવું છે, મને ભૂખ લાગી છે. લક્ષ્મીજી-રૂક્મિણી કહે છે કે આ ગરીબ બ્રાહ્મણ તેની પાસે કંઈક હશે તો આપેને? શ્રીકૃષ્ણને હવે રૂક્મિણી પ્રત્યે દુઃખ થયું છે જરા કોપાયમાન થયા છે. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ? દેવી ! આવું બોલવું હોય તો અત્રે તમારી જરૂર નથી. રૂક્મિણી ગભરાણા છે. વિચારે છે કે મેં તેમના મિત્રને ગરીબ કહ્યો તેથી તે મને કહે છે કે તું અહીંથી જા. મને પણ ઘરમાંથી કાઢી મૂકી આને ઘરમાં રાખશે કે શું? આજના શ્રીકૃષ્ણ જુદા છે. આવો મિત્ર-પ્રેમ કદી જોયો નથી. લક્ષ્મીજીએ માફી માગી છે.
ભગવાન શ્રીકૃષ્ણ બધાના મનની વાત જાણે છે, તેઓ બ્રાહ્મણો-બ્રહ્મજ્ઞાની સંતોના પરમભક્ત, તેમનાં દુઃખોને દુર કરવાવાળા તથા સંતોના એકમાત્ર આશ્રય છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે તમે તમારા ઘેરથી મારા માટે શું ભેટ લાવ્યા છો? મારા પ્રિયભક્તો જ્યારે પ્રેમપૂર્વક થોડી વસ્તુ પણ અર્પણ કરે છે તો તે મારા માટે અનંતગણી થઇ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણે આ પ્રમાણે કહેવા છતાં પણ તે બ્રાહ્મણદેવે લજ્જાવશ તે લક્ષ્મીપતિને તે ચાર મુઠ્ઠી પૌઆ ન આપ્યા, સુદામાએ પૌઆની પોટલી બગલમાં દબાવેલી. સુદામાને આવા સૂકા પૌઆ આપતાં સંકોચ થાય છે. ભગવાને ભેટ માગી એટલે સુદામા પોટલી વધારે છુપાવવા લાગ્યા.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

