New Delhi, તા.20
આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં સોનાં અને ચાંદીની ખરીદીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) ના અહેવાલ મુજબ, આ શુભ દિવસે રૂ.20,000 કરોડથી વધુનો વેપાર થયો હોવાનું અનુમાન છે. ગયા વર્ષે આ આંકડો લગભગ રૂ.16,000 કરોડ હતો, જેની તુલનામાં આ વર્ષે લગભગ 20 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
સોનાં અને ચાંદીના ભાવમાં ભારે વધારો હોવા છતાં, લોકોમાં ખરીદી માટેનો ઉત્સાહ યથાવત રહ્યો છે. ખાસ કરીને શુભ પ્રસંગ તરીકે ગણાતી અક્ષય તૃતીયાએ લોકો શુકન માટે ખરીદી કરવાનું પ્રાધાન્ય આપે છે, જેના કારણે બજારમાં ચહલપહલ જોવા મળી હતી.
જ્વેલરી ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર, આ વર્ષે અક્ષય તૃતીયા પર દેશભરમાં અંદાજે 18 થી 20 ટન સોનાનું વેચાણ થયું છે. દક્ષિણ ભારતમાંથી ખાસ કરીને વધુ મજબૂત માંગના અહેવાલો મળ્યા છે.
સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે જ્યાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,00,000 આસપાસ હતો, ત્યાં આ વર્ષે તે વધીને રૂ.1.58 લાખ સુધી પહોંચી ગયો છે. ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે – પ્રતિ કિલો રૂ.85,000 થી વધીને રૂ.2.55 લાખ સુધી પહોંચ્યા છે.
આ વધેલા ભાવને કારણે ગ્રાહકોના ખરીદીના વલણમાં ફેરફાર આવ્યો છે. હવે લોકો ભારે દાગીનાની જગ્યાએ હળવા વજનના, રોજિંદા ઉપયોગમાં આવી શકે એવા દાગીના ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
હળવા દાગીનાં અને સિક્કાઓની માંગ વધી
વેપારીઓના જણાવ્યા અનુસાર, હળવા વજનની વીંટી, ચેન, પેન્ડન્ટ તેમજ નાના સોનાં-ચાંદીના સિક્કાઓની ખરીદીમાં વધારો નોંધાયો છે. શુકન માટે લોકો ઓછા વજનમાં પણ ખરીદી કરી રહ્યા છે.
જ્વેલર્સે પણ ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. હળવા ડિઝાઇન, રોજિંદા પહેરવા યોગ્ય જ્વેલરી, ચાંદી અને હીરાના ઉત્પાદનો પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે સાથે મેકિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ અને ખાસ ઓફરો દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભલે વેચાયેલા સોનાં-ચાંદીના જથ્થામાં થોડો ઘટાડો થયો હોય, પરંતુ ઊંચા ભાવને કારણે કુલ વેપારનું મૂલ્ય વધ્યું છે. એટલે કે ઓછા વજનમાં પણ વધુ કિંમતનો વ્યવહાર થયો છે.
રોકાણ તરીકે સોનાની પસંદગી
નિષ્ણાતોનું કહેવું છે કે લોકો માત્ર ધાર્મિક કે શુભ કારણોસર જ નહીં, પણ રોકાણ તરીકે પણ સોનાં-ચાંદી ખરીદી રહ્યા છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં સોનાને સેફ હેવન તરીકે જોવામાં આવે છે, જે માંગ વધારવાનું એક મહત્વપૂર્ણ કારણ છે.
ગયા વર્ષથી આ વર્ષ સુધી સોનાના ભાવમાં આશરે રૂ.57,000નો વધારો થયો છે, જે લગભગ 60% વળતર દર્શાવે છે. ચાંદીમાં તો રૂ.1,50,500નો વધારો થયો છે, જે 155% સુધીનું વળતર આપે છે.
અક્ષય તૃતીયા 2026 એ ફરી એકવાર સાબિત કર્યું છે કે સોનાં-ચાંદી પ્રત્યે ભારતીયોની લાગણી અને વિશ્વાસ અડગ છે. ઊંચા ભાવ હોવા છતાં માંગમાં ઘટાડો ન થતાં, બજાર માટે આ એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
ઓટોમોબાઈલ સેક્ટરને પણ ફાયદો થયો
અક્ષય તૃતીયાના શુભ અવસરથી ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ ઘણો ફાયદો થયો. એક જ દિવસમાં પાંચ હજારથી વધુ વાહનોની ડિલિવરી કરવામાં આવી હતી, જ્યારે સામાન્ય દિવસોમાં દરરોજ લગભગ 2000 થી 2200 વાહનોની ડિલિવરી કરવામાં આવે છે.
એક પ્રખ્યાત બ્રાન્ડના કાર શોરૂમ ઓપરેટરે જણાવ્યું હતું કે વાહનોની ડિલિવરી માટે સવારે સ્ટાફને બોલાવવામાં આવ્યો હતો, જેથી ગ્રાહકોની કારમાં એસેસરીઝ વગેરે ઇન્સ્ટોલ કરીને અગાઉથી તૈયાર કરી શકાય. કાર કરતાં વધુ ટુ-વ્હીલર ડિલિવરી કરવામાં આવી હતી. દિલ્હીમાં નોંધણીમાં મુક્તિને કારણે, મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવામાં આવ્યા હતા.

