હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે સોમવાર એટલે ચરિત્રની ઓળખ! અને વૈશાખ સુદ નોમ ને આપણે ત્યાં સીતા નોમ તરીકે ઉજવાય છે, સીતાનાં ચરિત્રને જનક કન્યા, રામ પત્ની અને લવ કુશ ની માતા ત્રણ રીતે આલેખી શકાય! જોકે આમ તો દરેક સ્ત્રીનું જીવન આ મુખ્ય ત્રણ કિરદારમાં વહેંચાયેલું હોય છે. ગમે તે દીકરી હોય એ જે રીતે બાપને ઘેર રહેતી હોય એ રીતે એ બીજે ક્યાંય રહી શકતી નથી, બીજે ઘેર એને આમન્યા, શીલ, લજ્જા, મર્યાદા, જેવાં સંસ્કારોનું આવરણ પહેરીને જીવવું પડે છે, પછી સમય ગમે તે હોય. વર્તમાન સમયમાં સ્ત્રીઓ એક સુપર પાવર ધરાવતાં કેરેક્ટર તરીકે જીવી રહી છે, અને ક્યાંક એ વગર લગ્ને મા બનવાનાં નિર્ણય લે છે, અથવા રિલેશનશીપની ભેટ તરીકે માતૃત્વ પ્રાપ્ત થાય છે! ક્યાંક પ્રેમને નામે દગો થાય, તો ક્યાંક ડિવોર્સ થયા પછી પોતાનાં સંતાનોને ઉછેરવા એ એનું લક્ષ્ય હોય, એવું પણ જોવા મળે છે! બસ આમ રીતે ભગવાન રામ અને સીતા પણ અલગ થયાં હતાં, અને પ્રભુ શ્રીરામ દ્વારા સીતા માતાનો ત્યાગ કરવામાં આવ્યો હતો. જોકે તેનું કારણ અવિશ્વાસ કે લગ્ન જીવનની ઉણપ નહોતું, પરંતુ રામરાજ્યની જરૂરિયાત તરીકે એ વાત સ્વીકારવામાં આવી હતી. લક્ષ્મણજીને આદેશ આપવામાં આવ્યો કે,તે માતા સીતાને અરણ્યમાં છોડી આવે. તો આજે એક સિંગલ વુમન અને સિંગલ મધર તરીકેની માતા સીતાની જીવનચર્યા પર આજે આપણે ચિંતન કરીશું.
પ્રભુ શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ કરવામાં આવ્યો, ત્યારે સીતાજી ગર્ભવતી હતાં, અને લક્ષ્મણજી તેમને વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે છોડીને અયોધ્યા પરત ફર્યા. સીતાજીએ વાલ્મીકિના આશ્રમમાં આશરો લીધો, અને પોતાના ગર્ભવતીનાં આ સમયમાં તેમણે વાલ્મીકિ ઋષિ પાસેથી પિતાનો સ્નેહ પ્રાપ્ત કર્યો. સમયાંતરે તેમણે ઇક્ષ્વાકુ કુળના પુત્રોને જન્મ આપ્યો, અને વાલ્મિકી ઋષિ એ તેને લવ કુશ નામ આપ્યા. પરંતુ લવ-કુશના જન્મ બાબતે પણ બે મત પ્રવર્તે છે, અથવા તો અન્ય એક દંતકથા પણ પ્રચલિત છે.
વાલ્મિકી રામાયણમાં આઠમો કાંડ લવકુશકાંડ તરીકે પ્રચલિત છે, અને તેમાં લવ કુશનાં જન્મની એક કથા છે, કે માતા સીતાએ ફક્ત એક પુત્રને જન્મ આપ્યો હતો, અને તેનું નામ લવ રાખવામાં આવ્યું હતું. માતા સીતા એ નદી સ્નાન વખતે વાલ્મીકિ ઋષિને પોતાના પુત્ર લવનું ધ્યાન રાખવાનું કહ્યું. પરંતુ તેમણે જોયું કે ઋષિનું ધ્યાન નથી, અને ત્યાં ખૂંખાર જંગલી પ્રાણીઓ હતાં, એટલે માતૃત્વ ભાવ છલકાઈ ગયો, અને તેમને થયું કે ઋષિનું ધ્યાન નહીં રહે, અને પોતાનાં બાળકને કોઈ હિંસક પશુ ખાઈ જશે, આથી તે વાલ્મીકિ ઋષિને જણાવ્યા વગર પોતાની સાથે જ પોતાના પુત્રને લઈને સ્નાન કરવા જાય છે. આ બાજુ વાલ્મીકિ ઋષિ થોડીવાર પછી બળકને શોધે છે, અને તેને થાય છે કે હમણાં સીતે પાછી આવશે અને પૂછશે, કે મારો પુત્ર ક્યાં છે? તો હું શું જવાબ આપીશ? આ સાથે તેમણે આશ્રમમાં ઉગતા કુશ નામના ઘાસનું પુતળું બનાવી, તેની પર મંત્રોચ્ચાર કરી, અને લવ જેવું જ એક બાળક બનાવ્યું. માતાસીતા સ્નાન કરીને પાછા આવે છે, અને ઋષિ તેના હાથમાં લવને જુએ છે, અને એ જ રીતે માતા સીતા ઋષિનાં હાથમાં લવ ને જુવે છે. બંને જણાં તુરંત પરિસ્થિતિ પામી જાય છે. સીતા માતા ઋષિનાં હાથમાં રહેલાં બાળકને જોઈને અત્યંત ખુશ થઇ જાય છે, અને તે કુશ નામનાં ઘાસમાંથી ઉદ્ભવ પામ્યું હોવાથી, તેનું નામ કુશ રાખવામાં આવે છે. આમ સીતા માતા જોડીયા સંતાનોની માતા બને છે.
વાલ્મીકિ ઋષિ બધી જ શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા બંને બાળકોને આપે છે, અને આશ્રમમાં તેમની નજર હેઠળ તેમનો ઉછેર થાય છે. આમ આશ્રમનું જીવન જીવતાં હોવાં છતાં, તેમની ખ્યાતિ દેશ પ્રદેશ સુધી પહોચે છે. માતાસીતા પોતાના પુત્રોની સિદ્ધિ પ્રસિદ્ધિથી ખૂબ જ ખુશ થાય છે, અને સીંગલ મધર તરીકે પોતે પોતાનું કર્તવ્ય નિભાવી શક્યાનો સંતોષ અનુભવે છે. વાલ્મીકિ ઋષિ પણ આ બે બાળકોને પોતાના કુળ તેમજ ખાનદાનનો પરિચય મળી રહે, માટે એના ઇતિહાસ તરીકે રાજા દશરથથી શરૂ કરીને રાજારામ સુધીની કથાનું ગાયન રોજ સંભળાવતા હતા. પ્રભુ શ્રીરામ આયોજિત અશ્વમેઘ યજ્ઞનો ઘોડો લવકુશ પકડે છે, અને શત્રુઘ્નને હરાવીને એ બંને અયોધ્યાનાં રાજ દરબારમાં પહોંચે છે, અને ત્યાં પોતાનાં જન્મની કથા પ્રભુ શ્રીરામને સંભળાવે છે. પ્રભુ શ્રીરામ પોતાનાં પુત્રોને પોતાની નજર સામે જોઈને ગદ્ગદિત થઈ જાય છે. બંને પુત્રો તેમના પિતા પાસે પાછા પહોંચી ગયાની વાત, જ્યારે સીતા માતાને મળે છે. ત્યારે તેને થાય છે, કે હવે લવકુશ પોતાનાં પિતાને આગ્રહ કરશે કે, તેની માતાને તેડી આવે, અથવા પોતાની માતાને આવી સ્થિતિમાં ફક્ત પ્રજા શું કહેશે! શું એ માટે છોડી દીધી હતી? એવો પ્રશ્ન કરશે, અને પ્રભુ શું જવાબ આપશે! એટલે તેમને પોતાની માતાની માંફી માંગવાનું કહેશે. આ બધું માતા સીતા ઇચ્છતાં ન્હોતાં, માટે તે જે સ્થાન પર ઉભા હતા ત્યાંથી ધરતીમાં સમાઈ જવા માટે પ્રાર્થના કરે છે, અને ધરતીમાતા તરત જ તેમની પ્રાર્થના સાંભળે છે. પર્વતનાં બે ભાગ થાય છે, અને સીતા માતા તેમાં સમાઈ જાય છે. આ સ્થાનને સીતા કુંડ તરીકે ઓળખવામાં આવે છે.અહીં આગળ એક તળાવ છે, અને તેમાં રામ લક્ષ્મણ અને જાનકી નામના જળ વિસ્તારનાં ત્રણ ભાગ બતાવવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે શિયાળામાં આ પાણી ગરમ હોય છે, જ્યારે ઉનાળામાં તે પાણી ઠંડુ થઈ જાય છે.
સીતા માતા તો આમ પણ માતા તરીકે જ ઓળખાય છે, પરંતુ માતા તરીકે કોઇપણ સ્ત્રી ઉત્તમ ચરિત્ર ધરાવતી હોય છે. પછી તે પતિ સાથે હોય કે સીંગલ મધર હોય, તે પોતાના સંતાન માટે પોતાના જીવનનું સર્વસ્વ હોમી દેતી હોય છે. તેના ઉછેરમાં કોઈ કમી રહી જાય નહીં એ માટે તે દિવસ-રાત સંઘર્ષ કરતી હોય છે. સમાજની પરવાહ કર્યા વગર તે પોતાના બાળકનો ઉછેર કરતી હોય છે. ભવિષ્યમાં તેનું બાળક સિંગલ વુમન કે સિંગલ મધર તરીકે હોવાથી તેનો વિકાસ થયો નથી, કે તેને આ વસ્તુ મળી નહીં, એવો અફસોસ ન કરે એ વાતનું પણ એ ધ્યાન રાખતી હોય છે. પુરુષ કરતાં સ્ત્રી સંવેદનશીલ તેમજ વધુ સહનશીલ હોવાથી કુદરતે સંતાનના ઉછેરની મોટાભાગની જવાબદારી સ્ત્રી પર નાખી છે, અને સ્ત્રી તેને પૂર્ણ રૂપે અંજામ પણ આપે છે. યુગ ગમે તે હોય પણ પરીક્ષા હંમેશા સ્ત્રીઓએ જ આપવી પડે છે, એ વાત યાદ રાખી અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં ફેરવાઈ ન જાય! મર્યાદા આપણો ઉચ્ચતમ સંસ્કાર છે, તેની ગરિમા મુજબ એને નિભાવીને, સીતા માતા જેવું ઉચ્ચતમ ચરિત્ર કેળવીને, સમાજ વ્યવસ્થાના પાયામાં રહેલાં, ગૃહસ્થાશ્રમને સમજવો પડશે, સંવારવો પડશે, અને લગ્નજીવનને દિવ્ય તેમજ પ્રસન્ન બનાવવું પડશે, તો જ આપણી સમાજ વ્યવસ્થા મજબૂત બનશે. કળિયુગ દિવસેને દિવસે પોતાનો પ્રભાવ વધારતો જાય છે, આવનારા દિવસો હજી આનાથી પણ વધુ ભયંકર હશે. ત્યારે સ્ત્રી તેમજ પુરુષે પાયાની એક વાત યાદ રાખવાની છે, કે સ્ત્રી હોય કે પુરુષ બંને એકબીજાના પૂરક છે. બંને એકબીજા વગર અધૂરા છે, અને આ સત્ય સમજી અને એકબીજાના સ્વભાવની મર્યાદાને સ્વીકારીને જીવવામાં આવે તો જ લગ્નજીવન દીપી ઊઠે. આપણે સૌ આપણી સમાજ વ્યવસ્થા મજબૂત બનાવવા માટે, પોત પોતાના લગ્નજીવનને પ્રસન્ન બનાવવાની નિખાલસ કોશિશ કરી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)

