તા 30/4 એ વૈશાખ સુદ ચૌદસ એટલે કે વિષ્ણુનાં ચોથા અવતાર એવા નૃસિંહ અવતારની જયંતિ આવશે, પણ પૂર્ણિમા એ બુદ્ધ જયંતિ અને નરસિંહ મહેતા જયંતી પણ છે, એટલે આજે. શાસ્ત્રો અનુસાર વિષ્ણુનાં 24 અવતારની વાત માનવામાં આવી છે, નૃસિંહ અવતાર રુપે ભગવાન વિષ્ણુ એ પોતાનાં ભક્ત પ્રહલાદને મદદ કરવા માટે અવતાર લીધો હોય એવું આ કથાનક છે. જોકે પછીથી વિષ્ણુ અવતાર તરીકે શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ બંનેએ મનુષ્ય રૂપે જન્મ લીધો હતો, અને મનુષ્યની મર્યાદામાં અધર્મનો નાશ કરી ધર્મની પુનઃ સ્થાપના કરી હતી.
યુગો પહેલા હિરણ્યકશિપું નામનો એક દાનવ રાજ થઈ ગયો, અને તેને તેના બળનો બહુ અહંકાર હતો. થયું એવું કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બંને ભાઈઓ હતાં અને હિરણ્યાક્ષનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો, એટલે હિરણ્યકશિપુ ભગવાન વિષ્ણુને પોતાનાં દુશ્મન સમજવા લાગ્યો! એણે બદલો લેવા ખૂબ આકરું તપ કર્યું. તેને બ્રહ્મા દ્વારા વરદાન આપવામાં આવ્યું હતું કે, તેને કોઈપણ નર અથવા પશુ મારી નહીં શકે. ઘર અથવા બહાર મારી નહીં શકે. શસ્ત્ર અથવા અસ્ત્રથી કે, દિવસે અથવા રાત્રે પણ મારી નહીં કરી શકે. આ વરદાન મેળવી હિરણ્યકશ્યપ સ્વયંને ભગવાન માનવા લાગ્યો હતો અને ત્રણેય લોકના વાસીઓ પર અત્યાચાર કરવાનો શરૂ કરી દીધો હતો. દેવતાઓ પણ ડરવા લાગ્યાં હતા, જેથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને આ સંકટમાંથી બહાર લાવવા માટે પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ આ અત્યાચારમાંથી મુક્તિ અપાવવા માટેનું આશ્વાસન આપ્યું હતું. પોતાનાં રાજ્યમાં સૌએ તેની જ પૂજા કરવાની, એવો વટ હુકમ બહાર પાડ્યો હોય એવું ક્રુર વલણ અપનાવ્યું હતું, જ્યારે તેનો જ પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો, અને તેની ઉંમરના અન્યને પણ વિષ્ણુ ભક્તિ વિશે પ્રેરિત કરતો. માનીતી અને અણમાનીતી રાણીઓની પહેલાના સમયમાં પ્રથા હતી, અને પ્રહલાદની માતા અણમાનીતી રાણી હતી. સુનીતિ સાથે જ પ્રહલાદ નારદના મુખે ભગવાન વિષ્ણુના ગુણદાન સાંભળે છે, અને તેઓ પોતાની માતા માટે ભગવાન વિષ્ણુની તપ સાધના કરે છે, અને આ રીતે તે વિષ્ણુમય બની ગયા. પોતાનાં પિતા એવાં હિરણ્યકશિપુથી આ બધું જોયું જતું નહોતું, અને તેનો અહંકાર એટલો ઘવાયો કે તે પોતાનાં જ પુત્રનો જીવ લેવાં તત્પર બન્યાં. અને આવાં કેટલાંય પ્રયોગો નિષ્ફળ ગયાં, ત્યારે એમણે પ્રહલાદને કહ્યું કે, જો તારો ભગવાન કણકણમાં વ્યાપ્ત હોય તો તું એ સાબિત કરી દે કે આ થાંભલામાં પણ હરિ છે!, અને થાંભલા માંથી નર અને સિંહ બંને સંલગ્ન હોય એવું એક સ્વરૂપ બહાર આવ્યું, જે હિરણ્યકશિપુ ને ઘરના ઉંબર સુધી ઢસડીને લાવે છે, અને તેની છાતી ચીરી નાખે છે. આપણે પણ પરમાત્મા વ્યાપ્ત છે એ કહીએ છીએ, છતાં અહમ તો આપણે પણ છોડી શકતાં નથી, બસ આપણો અહમ જ હિરણ્યકશિપુ બની વ્યાપક બ્રહ્મનાં દર્શન કરવા દેતો નથી. થાંભલા માંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયાં એ દિવસે વૈશાખ સુદ ચૌદસ હતી, અને ત્યારથી આ દિવસ નૃસિંહ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આમ જુઓ તો એક ભક્તની ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું આ પરિણામ છે, અને એ પણ કેટલી નાની ઉંમરે!: જોકે નાનાં હોય ત્યારે અમુક વાત વગર તર્કે સ્વીકારી લેતા હોઈએ છીએ, અને અહમ પણ એટલો બળવાન હોતો નથી.
વિષ્ણુનાં ચોથા અવતાર નૃસિંહના મંદિરો પણ બંધાયાં છે, અને ભગવાનને એ સમયે એટલો બધો ક્રોધ આવી ગયો હતો, કે તેનું પોતાનું મુખ પણ સળગવા લાગ્યું હતું, અને તેને શાંત કરવા માટે ચંદનનો લેપ લગાડ્યો હતો! તો ત્યારથી નૃસિંહ ભગવાનનાં મંદિરોમાં એની મૂર્તિ ને ચંદનનો લેપ કરવામાં આવે છે. અક્ષય તૃતીયાને દિવસે આ ચંદનનો લેપ હટાવવામાં આવે છે, અને ત્યારથી તે ચૌદસ એટલે કે 11 દિવસ સુધી ભક્તોને નૃસિંહ સ્વરૂપના દર્શન થાય છે, બાકી તો ચંદન આવરીત જ તેની મૂર્તિ હોય છે.
પુરાણોમાં આલેખ્યા મુજબ પ્રહલાદ ભક્ત હતાં અને એ જ રીતે કળિયુગમાં નરસિંહ પણ ભક્ત પ્રહલાદ માટે અવતરેલા નૃસિંહ એક એવું સ્વરૂપ છે કે જે વિકરાળ છે, પણ વૈશાખ સુદ પૂનમને દિવસે નરસિંહ મહેતા જન્મ જયંતી છે, અને નામ એક હોવા છતાં બંને મા એક વિષ્ણુ તત્વને બાદ કરતાં કોઈ સામાન્યતા નથી. આ નરસિંહ વિશે વિગતવાર વાત તો પછી કરીશું, પણ મુખ્ય વાત એ છે કે આ નરસિંહ વિકરાળ બિલકુલ નથી, સ્વભાવે એકદમ રાંક છે, પણ નામની સંધિ છૂટી પાડીએ તો નર + સિંહ એટલે કે આ ભક્ત એવો નર છે, જે સિંહ સમાન કાળનો જ કોળિયો કરી ગયો, અને કળિયુગમાં જન્મ હોવા છતાં દ્વાપરનાં એ કૃષ્ણ કામણગારાને ભક્તિ થકી સાક્ષાત પામી ગયાં. એટલે એમ કહી શકાય કે આવી પૌરાણિક કથા પરથી આપણને કલ્પના આવે કે હિરણ્યકશિપુ કેવો હશે? કે જે પોતાનાં જ દિકરાને મારવા તુલ્યો!! અને નરસિંહ નાગર કેવો હશે કે જેની એક પુકારે ભગવાન દોડતો આવતો! કારણ કે નરસિંહનું હું પણું એટલે અહંકાર સમાપ્ત થઈ ચૂક્યો હતો અને એને પોતાનાં સ્વરૂપનું દર્શન થઈ ગયું હતું! આત્મ તત્વ લાધી ગયું હતું. સાંપ્રત સમયમાં તો અહંકાર સાચાં ખોટાંનું મુલ્યાંકન કરવાં દેતો નથી, અને આવાં કોઈ ને કોઈ મનોવિકાર ને કારણે જ આપણે ઈશ્વર તત્વને પામી શકતાં નથી! બાકી હિરણ્યકશિપુ જેવો દાનવ તપ કરીને વરદાન પ્રાપ્ત કરી શકે, તો શું આપણે એનાથી પણ ઉતરતી કક્ષાના છીએ?? ક્યારેક જવાબ હા લાગે! અને ક્યારેક જવાબ ના લાગે! કારણકે આપણે દાનવ નથી માનવ છીએ! અને દેવ તો છીએ જ નહીં! એટલે થોડાં બેખબર રહીએ તો આપણે માનવ માંથી દાનવ બની શકીએ! અને થોડા જાગૃત રહીએ તો માનવ માંથી ઉપર પણ ઉઠી શકીએ! દેવ શબ્દ મને એટલો ગમતો નથી કારણ કે પુરાણોમાં એનાં સ્વાર્થ અને શોખ આલેખ્યા છે જે, મારી માનસિકતાને રુચિકર નથી, પણ જાગૃતિ માનવ માંથી આપણને માનવી બનાવી શકે, એ નિતાંત સત્ય છે. જાગૃતિ એટલે જાગરણ શું શું કરાવી શકે એ નરસિંહ થી વિશેષ કોણ કહી શકે! તો નૃસિંહ અને નરસિંહ બંને અવતાર પુરુષ છે, અને ઈતિહાસ તેને કાયમ આ રીતે યાદ રાખશે.
યુગ ગમે તે હોય! પણ ભક્ત માટે ભગવાન આવે છે! આવે છે! અને આવે છે! બસ ક્યારેક ભગવાન કસોટી કરે છે, એ આપણે ભક્ત પ્રહલાદ અને ભક્ત નરસિંહ પરના સમાજના અત્યાચાર પરથી જોઈ શકીએ છીએ.તો ભક્ત પ્રહલાદ માટે વિષ્ણુ એ નૃસિંહ અવતાર લીધો, નરસિંહ મહેતા માટે વિષ્ણુના પૂર્ણાવતાર કહેવાતા ભગવાન કૃષ્ણ સ્વયં એની મદદે આવ્યા. આપણે સૌ પણ આપણી ભક્તિની પરાકાષ્ઠા સુધી ભગવાનનું ભજન કરીએ, અને આપણી આધિ વ્યાધિ અને ઉપાધિ એને સોંપી પ્રહલાદ કે નરસિંહની જેવા ભક્ત બની શકીએ તો આ જન્મ સફળ થયો કહેવાય. જય સીયારામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

