Mumbai,તા.07
આઈપીએલ 2026ની ફાઈનલ મેચ હવે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. નિયમ મુજબ, ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ હોવાથી આ મેચ બેંગલુરૂમાં યોજાવાની હતી, પરંતુ હવે તે અમદાવાદમાં 31 મેના રોજ રમાશે.
આ ફેરફાર પાછળ કાર્યકારી મુશ્કેલીઓ અને બેંગલુરૂમાં ટિકિટોની વહેંચણીને લઈને થયેલો રાજકીય વિવાદ મુખ્ય કારણ માનવામાં આવે છે. બીસીસીઆઈએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, `લોજિસ્ટિક્સ અને કામગીરીના કારણોસર’ પ્લે-ઓફ મેચોના સ્થળો બદલવામાં આવ્યાં છે.
જોકે, અંદરની વાત મુજબ કર્ણાટકના ધારાસભ્યો (MLAs) માટે ફ્રી ટિકિટો માંગવાના વિવાદે આ નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી છે. આ નિર્ણયને કારણે બેંગલુરૂ હવે ફાઈનલ કે પ્લે-ઓફની એક પણ મેચ યોજી શકશે નહીં.
શા માટે બેંગલુરૂ પાસેથી યજમાની છીનવાઈ?
ગયા વર્ષે જ્યારે RCB ચેમ્પિયન બન્યું ત્યારે ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ભીડને કારણે થયેલી અરાજકતા અને દુર્ઘટનાને લીધે પણ બેંગલુરૂની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા હતા.
તાજેતરમાં થયેલા વિવાદની વાત કરીએ તો, કોંગ્રેસનાં ધારાસભ્ય વિજયાનંદ કાશપ્પનવરે જાહેરમાં એવી માંગણી કરી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ VIP છે, તેથી તેમને લાઇનમાં ઊભા રાખવાને બદલે ફ્રી ટિકિટ આપવી જોઈએ.
આ મુદ્દો એટલો વધી ગયો કે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારે દખલગીરી કરવી પડી હતી. અંતે સમાધાન તરીકે દરેક ધારાસભ્ય અને સાંસદને 3-3 ફ્રી ટિકિટ આપવાનું નક્કી થયું હતું, પરંતુ આ ખેંચતાણને કારણે બીસીસીઆઈ નારાજ થયું હોવાનું જણાય છે.
આઈપીએલ 2026 પ્લે-ઓફનું નવું ટાઈમ ટેબલ
હવે પ્લે-ઓફની મેચો ત્રણ અલગ-અલગ શહેરો – ધર્મશાલા, ચંડીગઢ અને અમદાવાદમાં રમાશેઃ
♦ ક્વોલિફાયર 1 : 26 મે – ધર્મશાલા (HPCA સ્ટેડિયમ)
♦ એલિમિનેટર : 27 મે – નવું ચંડીગઢ
♦ ક્વોલિફાયર 2: 29 મે – નવું ચંડીગઢ
♦ ફાઈનલ : 31 મે – અમદાવાદ (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)
અત્રે નોંધનીય છે કે, ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અત્યારે પણ પ્લે-ઓફની રેસમાં મજબૂત છે. તેઓ પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. જો RCB ફાઈનલમાં પહોંચશે, તો પણ તેમને હવે પોતાનાં ઘરઆંગણે રમવાનો ફાયદો મળશે નહીં.

