UNSC,તા.11
મિડલ ઈસ્ટ અને ઈરાન સંઘર્ષની વચ્ચે વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓ સામે પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના કાયમી પ્રતિનિધિ હરીશ પર્વતનેનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભારત આવી હિંસક ઘટનાઓને ક્યારેય સ્વીકારશે નહીં.
છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા આ સંઘર્ષમાં કેટલાક ભારતીયોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક ગુમ છે. તાજેતરમાં ઓમાનના કિનારે અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલામાં ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં 24 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો છે.
ઓમાનના કિનારે ‘સેટેબેલો’ નામના કોમર્શિયલ ટેન્કર પર થયેલા મિસાઈલ હુમલામાં ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સ ગુમ થતા ભારતે કડક વલણ અપનાવ્યું છે. બુધવારે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવીને આ હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે.અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, પાલાઉ દેશનું ધ્વજ ધરાવતું ટેન્કર ‘સેટેબેલો’ ઈરાનથી તેલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જે બાદ અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમમાં દારૂગોળો છોડ્યો હતો.
બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી કંપની ‘વેનગાર્ડ ટેક’ના મતે, જહાજના એન્જિન રૂમમાં મિસાઈલ હુમલો થયો હોવાનો સંદેશો મળ્યો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી હતી.વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી નાગરાજ નાયડુ દ્વારા અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે વેપારી જહાજો પરના આવા હુમલા અત્યંત ચિંતાજનક છે.

