પોલીસ સહિત ૧૨થી વધુ લોકો ઘાયલ : ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે અનુમંડલ હોસ્પિટલમાં દાખલ કરાયા
Bihar, તા.૧૩
બિહારમાં મા દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન અસામાજિક તત્વોએ વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરતાં તંગદિલી સર્જાઈ હતી. સીતામઢી જિલ્લાના બેલસંડમાં પ્રતિમા વિસર્જનની યાત્રા દરમિયાન અનેક પર પથ્થરમારો થયો હતો. બેલસંડ ચોકથી રજિસ્ટ્રી ઓફિસ થઈ મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલી આ યાત્રા મનુષમારા નદી ઘાટથી આગળ વધી રહી હતી, ત્યારે અચાનક એક પક્ષ તરફથી મોટાપાયે પથ્થરમારો થવા લાગ્યો હતો. જેનાથી અફરાતફરી સર્જાઈ હતી. જેમાં પોલીસ સહિત ૧૨થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે અનુમંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આટલેથી ન અટકતાં, પથ્થરમારા બાદ આ અસામાજિક તત્વોએ બે દુકાનોમાં આગ લગાવી દીધી હતી. જો કે, પોલીસે કાર્યવાહી હાથ ધરતાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
પથ્થરમારાની સૂચના બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદથી પ્રદેશમાં તણાવ વધ્યો છે. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે વિસર્જન યાત્રામાં સામેલ લોકોને જ લાઠી વડે દબાણપૂર્વક ખસેડ્યા હતા. જેનાથી ભીડ રોષે ભરાઈ હતી. અને પ્રતિમા નદી ઘાટ પર મૂકી દૂર ખસી ગઈ હતી. તેમણે પોલીસ પર જ આરોપ મૂક્યો હતો કે, પથ્થરમારો કરનારાને બદલે પોલીસે અમને જ લાઠીના બળ વડે દૂર કર્યા. જેનાથી રોષે ભરાયેલા લોકોએ ડીએમ-એસપીને દખલગીરી કરવા અને પથ્થરમારો કરનારા આ અસામાજિક તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતા પ્રતિમા વિસર્જન કરવાનો ઈનકાર કર્યો હતો. સૂચના મળતાં જ સવારે ડીએમ-એસપી ઘટનાસ્થળે પહોંચી સ્થિતિને નિયંત્રણમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ભારે સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.