મહિલાના માથામાં છરી અને પથ્થરથી હુમલો, ૮થી ૧૦ ટાંકા આવ્યા; પતિને પણ ઇજા ,પોલીસ ફરિયાદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૮
Jamnagar શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કડીયાકામ દરમિયાન પડેલા સિમેન્ટ અને કાંકરીના મુદ્દે પડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. બનાવમાં એક મહિલાને માથામાં ગંભીર ઇજા પહોંચતાં ૮થી ૧૦ ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે તેમના પતિને પણ ઇજા પહોંચી હતી.પોલીસ ફરિયાદ મુજબ, દિગ્વિજય પ્લોટ-૫૮, હિંગળાજ ચોક, ગોળના ગોડાઉનવાળી ગલી વિસ્તારમાં રહેતી નિકીતાબેન રોહિતભાઈ નંદા (ઉ.વ. ૨૨)ના ઘરે કડીયાકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન સિમેન્ટ અને કાંકરીનો કચરો પડોશીના ઘર તરફ જતો હોવાથી પડોશમાં રહેતા જશોદાબેન જગદીશભાઈ નંદાએ કારીગરો સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.
બાદમાં નિકીતાબેન સ્થળ પર પહોંચતા તેમની સાથે પણ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી જગદીશભાઈ રમણીકભાઈ નંદાએ નિકીતાબેનના વાળ પકડી તેમને નીચે પછાડી દીધા હતા અને મારકૂટ કરી હતી. ત્યારબાદ છરી અને પથ્થર વડે માથામાં હુમલો કરતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન તેમના માથામાં ૮થી ૧૦ ટાંકા લેવા પડ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.બનાવ દરમિયાન નિકીતાબેનના પતિ રોહિતભાઈ નંદા વચ્ચે પડી પત્નીને બચાવવા જતા આરોપી જગદીશભાઈએ પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી હતી તેમજ છરીનો ઘા કરતાં તેમના જમણા પગમાં છરકો થયો હતો.આ દરમિયાન સચીન જગદીશભાઈ નંદા પણ સ્થળ પર આવી ફરીયાદી અને તેમના પતિને ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી. આરોપીઓએ એકબીજાની મદદગારીથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સિટી ’સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઈ રમણીકભાઈ નંદા, જશોદાબેન જગદીશભાઈ નંદા અને સચીન જગદીશભાઈ નંદા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

