પ્રભાસ પાટણ (Somnath )તા.૨૯
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ-વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ પસંદગીનું અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. ભક્તોના આ અવિરત પ્રવાહ અને મંદિરની શ્રેષ્ઠ વ્યવસ્થાપનની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ છે. તાજેતરમાં જ સોમનાથ મંદિરને ’ઇન્ડિયા ટુડે ટૂરિઝમ સર્વે એન્ડ એવોડ્ર્સ ૨૦૨૬’ માં ’સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક યાત્રાસ્થાન’ ના પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યું છે.
વેકેશન અને અધિક માસમાં ઉમટ્યો માનવ મહેરામણસોમનાથ તીર્થ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, તાજેતરમાં આવેલા સળંગ ત્રિ-દિવસીય વેકેશન (રજાઓ) દરમિયાન જ આશરે ૧.૫૦ લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
આ ઉપરાંત, પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ના આખરી સપ્તાહમાં, એટલે કે અગિયારસથી લઈને અમાસ સુધી ભક્તોનો અવિરત માનવ મહેરામણ હરિ-હરના દર્શને ઉમટી પડ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, માત્ર આ અંતિમ સપ્તાહ દરમિયાન જ ૩.૭૫ લાખ જેટલા ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું હતું.
હરિ અને હરનો અદભુત સમન્વયઃઆમ તો પુરુષોત્તમ માસ એટલે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું વિશેષ માહાત્મ્ય ધરાવતો પવિત્ર મહિનો. પરંતુ, આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં સ્પષ્ટપણે વર્ણવવામાં આવ્યું છે કે
અર્થાત્? ભગવાન શિવ એ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રીકૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે. ભગવાન વિષ્ણુ શિવના હૃદયમાં વાસ કરે છે અને ભગવાન શિવ વિષ્ણુના હૃદયમાં બિરાજે છે. આ દિવ્ય એકતાને કારણે આ પવિત્ર માસ દરમિયાન હરિ (વિષ્ણુ/કૃષ્ણ) અને હર (શિવ) બંનેના દર્શન, પૂજન અને ભજનનું અનેરું અને વિશેષ માહાત્મ્ય રહેલું છે.
શાસ્ત્રોમાં અધિક માસ માટે કહેવાયું છે કે આ માસમાં કરેલા પુણ્યકાર્યોનું ફળ પણ અધિક મળે છે. આ વિશેષ ફલશ્રુતિને ધ્યાનમાં રાખીને, દેશ-વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ સોમનાથ મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રાવણ માસ જેવો જ ભક્તિમય માહોલ આ પુરુષોત્તમ માસ અને તાજેતરની રજાઓમાં સોમનાથ પરિસરમાં જોવા મળ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ માટે દર્શન, પ્રસાદ અને સુરક્ષાની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી પ્રત્યેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે. ભક્તોની આ અખૂટ શ્રદ્ધા અને તીર્થની શ્રેષ્ઠ વ્યવસ્થાને કારણે જ સોમનાથ આજે ખરા અર્થમાં ’બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન’ સાબિત થયું છે.

