Amreli,તા.૨૯
Amreli જિલ્લાના ધારી ગીર પૂર્વ વનવિભાગ હેઠળના દલખાણીયા રેન્જમાંથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ સિંહબાળના મોત પાછળ ઇલેક્ટ્રિક શોક કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વનવિભાગ દ્વારા હજુ સુધી મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. અંતિમ કારણ પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ઘટના બાદ વનવિભાગે આસપાસના રેવન્યુ વિસ્તારમાં સઘન સ્કેનિંગ અને તપાસ અભિયાન હાથ ધર્યું છે. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે, જેથી ઘટનાની સંપૂર્ણ હકીકત જાણી શકાય.
વનવિભાગની ટીમ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સિંહબાળનો મૃતદેહ ઘટનાસ્થળે જ હતો કે અન્ય સ્થળેથી લાવી અહીં ફેંકવામાં આવ્યો હતો. મૃતદેહ અહીં લાવનાર અથવા ઘટનામાં સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વિવિધ પાસાઓની તપાસ ચાલી રહી છે.
ગીર વિસ્તાર એ એશિયાટિક સિંહો માટે વિશ્વપ્રસિદ્ધ અભ્યારણ્ય હોવાથી આ પ્રકારની ઘટના ગંભીર માનવામાં આવી રહી છે. વનવિભાગે સમગ્ર મામલાની દરેક દિશામાં તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ અને જવાબદારો અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

