New Delhi,તા.29
દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ સિવિલ સેવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. કોચિંગ સેન્ટર દ્વારા મોટા સપનાઓ સાથે પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી ફી વસુલવામાં આવે છે. પરંતુ આ પ્રખ્યાત કોચિંગ સેન્ટરે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુક્યા. આ સંસ્થા નિયમોનો ભંગ કરીને ભોંયરામાં લાયબ્રેરી ચલાવી રહી હતી.
હવે આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે, રસ્તા પર પાણી ભરાઈ જવા દરમિયાન એક ગાડી એ તેજ રફતારમાં ટર્ન લીધો હતો અને આ દરમિયાન જ કોચિંગ સેન્ટરના ગેટનો દરવાજો તૂટી ગયો હતો.
કોચિંગ સેન્ટરના ગેટનો દરવાજો તૂટી જવાના કારણે ખૂબ જ પૂરજોશમાં પાણી કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ઘૂસી આવ્યું હતું. પોલીસે ગાડીના માલિકની ધરપકડ કરી લીધી છે. CCTV દ્વારા ગાડીની ઓળખ કરવામાં આવી છે.