હિન્દુ ધર્મમાં વિશ્વના એવા બે મહાનુભાવો વચ્ચે થયેલ પ્રસિદ્ધ સંવાદને વાંચીને-સાંભળીને લાખો લોકોનું જીવન બદલાયું છે અને તેને વાંચીને દુનિયાભરના રાજનીતિજ્ઞો, વૈજ્ઞાનિકો,આધ્યાત્મિક અને દાર્શનિકોએ પોતાના અલગ ધર્મદર્શન,નીતિ અને વિજ્ઞાનના સિદ્ધાંતો બનાવ્યા છે.આપણે પણ તે સંવાદોને વાંચીશું તો અમારી જીંદગીમાં શાંતિ,દ્રઢતા,નિર્ભિકતા અને બુદ્ધિનો વિકાસ થશે.ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મવિદ્યા છે.બ્રહ્મવિદ્યા જ જીવને મૃત્યુના ભયથી મુક્ત કરી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે છે. પરબ્રહ્મ પરમાત્માની આત્માના રૂપમાં અનુભૂતિ કરવી એ જ બ્રહ્મવિદ્યા છે.આ બ્રહ્માવિદ્યાને પ્રાપ્ત કરવી એ જ મનુષ્ય જીવનની કૃતાર્થતા છે.આ મનુષ્ય શરીરમાં પરબ્રહ્મ પરમાત્માને જાણવા એ જ મનુષ્યજીવનનું લક્ષ્ય છે.આ મનુષ્યશરીર મળ્યા પછી પરબ્રહ્મ પરમાત્માને જાણ્યા વગર મૃત્યુ થયું તો જીવન નિરર્થક છે. કઠોપનિષદમાં પરમગૂઢ તત્વને ખૂબ જ સરળતાથી સાધારણ જિજ્ઞાસુઓ પણ આસાનીથી સમજી શકે તેમ કહેવાયું છે.જેમાં યમ અને નચિકેતાના સંવાદરૂપે બ્રહ્મવિદ્યાનું વિસ્તૃત વર્ણન કરેલું છે.
વાજશ્રવાના પૂત્ર નચિકેતા અને મૃત્યુના દેવતા યમરાજા વચ્ચે જે સંવાદ થાય છે તે વિશ્વનો પ્રથમ દાર્શનિક સંવાદ માનવામાં આવે છે.વાજશ્રવા નામના ઉપનિષદોના તત્વોનો જાણકાર એક બ્રાહ્મણ હતા તેમને અનેક આપત્તિઓનો સામનો કરીને ઘણું ધન ભેગું કર્યું હતું. એકવાર તેમને વિશ્વજીત નામનો યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને પોતાની તમામ સંપત્તિ દાન કરી દેવાનું નક્કી કર્યું.યજ્ઞની પૂર્ણાહૂતિ પછી તેમને બધી ગાયોનું દાન કરી દીધું પરંતુ તેમના પૂત્ર નચિકેતાને ગાયો વૃદ્ધ તથા દુર્બળ હોવાથી ગાયોનું દાન આપવું યોગ્ય ના લાગ્યું તેથી તે પોતાના પિતાની ભૂલ બતાવે છે.ત્યારે વાજશ્રવા કહે છે કે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી બધી સંપત્તિ દાન કરી દઇશ.ગાયો પણ મારી સંપત્તિ હતી એટલા માટે મેં તેનું દાન કર્યું છે.
નચિકેતાએ કહ્યું કે મને લાગે છે કે દાનમાં તે જ વસ્તુ આપવી જોઇએ જે બીજાને કામ આવી શકે. એવી વસ્તુનું શુ મહત્વ જે બીજાને ઉપયોગમાં ના આવે.હું તો તમારો પૂત્ર છું તો મારૂં દાન કોને કરશો? આમ કહેવાથી મહર્ષિને ક્રોધ આવ્યો અને કહ્યું કે જા હું તને યમરાજાને સોપું છું.નચિકેતા એક આજ્ઞાકારી પૂત્ર હતો અને તેથી તેમને નક્કી કર્યું કે હવે યમરાજાને મળવા માટે જવું પડશે.પિતાની આજ્ઞા લઇને નચિકેતાએ યમલોક તરફ પ્રયાણ કર્યું વચ્ચે યમદૂતો મળ્યા તો પૂછયું કે મારે યમરાજાને મળવું છે તે કયાં મળશે? યમરાજને શોધનાર આ બાળકને જાઈને યમદૂતોને નવાઈ લાગી.
જગતનાં બધાં પ્રાણીઓ યમરાજની પાસે જતા ડરે છે જયારે આ તો સામે ચાલીને જાય છે. નચિકેતા યમરાજનું દ્વાર ખખડાવતાં યમરાજનાં પત્નીએ બારણું ખોલ્યું તેમની જીંદગીમાં આ પહેલો જ અનુભવ હતો કે કોઈ મૃત્યુલોકનો માનવી છાતી ઉચી કરીને યમરાજાને શોધતો આવ્યો હોય.યમરાજ ઘરમાં નથી ત્રણ દિવસ પછી આવશે ત્યારે મળશે એમ કહી યમરાજાના પત્નીએ દ્વાર બંધ કર્યા.
ત્રણ દિવસ સુધી નચિકેતા યમના ઘરની બહાર અડ્ડો જમાવીને ખાધા પીધા વિના બેસી રહયો. યમરાજા આવતાં સર્વ વાત તેમના કહેવામાં આવે છે.તેમણે નચિકેતાને પૂછયું કે અહી આવવાનું તારૂં પ્રયોજન શું છે? ત્યારે નચિકેતા કહે છે કે મને મારા પિતાએ તમને દાનમાં આપ્યો છે તેથી આવ્યો છું.ત્યારે યમરાજા કહે છે કે તમે મારા મહેલમાં મહેમાન બનીને આવ્યા છો.મને એ વાતનું દુઃખ છે કે તારે ત્રણ રાત ભોજન કે પાણી વિના વિતાવવી પડી.આ એક ગંભીર ભૂલ હતી કારણ કે મહેમાનની સારી રીતે સંભાળ રાખવી જોઈએ માટે હે બ્રાહ્મણ ! મારો અપરાધ માફ થાય અને હું મુક્ત થઈ શકું તે માટે હું તમને નમન કરૂં છું અને વિનંતી કરૂં છું કે તમે ઉપવાસ કરેલ ત્રણ રાતના બદલામાં ત્રણ વરદાન માગો ત્યારે નચિકેતાએ કહ્યું કે હું લેવા નથી આવ્યો પરંતુ આપવા આવ્યો છું.
યમરાજના અતિ આગ્રહને લીધે નચિકેતાએ ત્રણ વરદાન માગ્યાં.હે મૃત્યુના દેવ..મારા પિતાના બધા વિચારોને શાંત થવા દો.તેમને મારા પર પ્રસન્ન થવા દો અને મારા પ્રત્યે ક્રોધ મુક્ત થવા દો.જ્યારે હું અહીથી ઘરે જાઉં ત્યારે તે મને તેના પુત્ર તરીકે ઓળખે.તેમને મારી સાથે પહેલા જેવા જ પ્રેમથી વાત કરવા દો.હું જે ત્રણ વરદાન માંગું છું તેમાંથી આ પહેલું છે.
બાળકને તેના પિતા માટે કેટલી શુદ્ધ લાગણી હોય છે.પિતાની મુક્તિને બરબાદ થતી રોકવા માટે તેણે પોતાની જાતને મૃત્યુને શરણે કરી દીધી હતી.આ ઘટનાને કારણે તેના પિતાને જે પીડા થઈ રહી હશે તે પણ તે સમજી ગયો તેથી નચિકેતાનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ અહીં વ્યક્ત થયેલો જોવા મળે છે. આ સાંભળીને યમરાજાને આનંદ થયો કારણ કે આટલી નાની ઉંમરમાં તેણે એવી વસ્તુ માંગી હતી જે વિશે વડીલોએ પણ વિચાર્યું ન હોય.પ્રસન્ન થઈને યમરાજાએ તેની પ્રથમ ઈચ્છા પૂરી કરી.
બીજું વરદાન માગતા પહેલા બુદ્ધિશાળી નચિકેતાએ સ્પષ્ટતા કરી કે હે મૃત્યુના દેવ..પરમાત્માના ધામમાં ભય નથી.હે યમરાજા તમે અગ્નિવિદ્યા જાણો છો જેના દ્વારા કોઈ પરમાત્માના ધામને પ્રાપ્ત કરી શકે છે તે મને શીખવો આ હું મારા બીજા વરદાન તરીકે માંગું છું.યમરાજા સહેલાઈથી સંમત થયા અને શિક્ષક બન્યા.તેમને અગ્નિવિદ્યા શીખવી.વ્યક્તિ જે બાબતોમાં ઊંડો રસ ધરાવે છે તેમાં સ્વાભાવિક રીતે જ સચેત હોય છે તેથી નચિકેતાએ તેમને જે શીખવવામાં આવ્યું હતું તેનું પુનરાવર્તન કર્યું.શિક્ષકનું હૃદય જીતી ગયું.યમરાજાએ એમ કહીને પોતાનો આનંદ દર્શાવ્યો.હવેથી આ અગ્નિવિદ્યા જે મેં તમને શીખવી છે તે તમારા નામથી ઓળખાશે અને અહીં રંગીન રત્નોની આ સુંદર માળા લો..આ એક વધારાનો આશીર્વાદ હતો, જે નિર્લોભી (લોભથી મુક્ત) છે તે કોઈપણ પ્રયત્નો વિના આવા લાભ મેળવે છે પરંતુ નચિકેતાએ માત્ર તેમની કૃતજ્ઞતા દર્શાવી.તેણે રત્નોની માળા માટે કાળજી લીધી ન હતી.ખરેખર યમરાજના વરદાનના પરિણામે આ જ્ઞાનને ‘નચિકેત અગ્નિવિદ્યા’ નામથી ઓળખવામાં આવે છે.
હવે યમ ત્રીજું વરદાન માગવા કહે છે ત્યારે નચિકેતા કહે છે કે પ્રભુ તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા હો તો મને આત્મજ્ઞાન આપો.અમૃત વિદ્યા આવડે તેવું વરદાન આપો.આ વાક્ય સંભાળતાં યમરાજા પણ ચોકી ઉઠે છે.યમરાજા વિચારે છે કે મારાથી છુટવાનો રસ્તો મને જ પૂછે છે.યમરાજા કહે છે કે તે બહુ અઘરૂં છે બીજું જે કઈ જોઈએ તે માગ ત્યારે નચિકેતા હઠ પકડે છે કે મને તો આત્મવિદ્યા જ ખપે.યમરાજા તેને બહુ સમજાવે છે અને કહે છે કે તને ત્રણ ભુવનનો ચક્રવર્તી રાજા બનાવું,ક્યારેય નાશ ના પામે તેટલું ધન, અપ્સરાઓનું ટોળું અને હજાર વર્ષનું આયુષ્ય આપવાનું કહે છે ત્યારે નચિકેતા કહે છે કે હું બ્રાહ્મણ છું અને આપવા માંગો તો આપો પણ આત્મજ્ઞાન-અમૃતવિદ્યાના બદલામાં નહિ.આત્મજ્ઞાન ના હોય તો આ બધું શું કરવાનું? યમરાજાએ તેની મક્કમતા જોઈને પ્રસન્ન થયા.તેની તેજસ્વીતા આગળ યમરાજા પોતાનો પરાજય સ્વીકારી આત્મજ્ઞાન-અમૃતવિદ્યા શીખવે છે.યમરાજા પાસેથી તેમનાથી છૂટવાનો રસ્તો-વિદ્યા જાણનાર આ પહેલો માનવ હશે.તેને આદર સાથે પૃથ્વી પર પાછો મોકલે છે.તે ઋષિબાળ હવે તો યમનો શિષ્ય હતો તેની પાસે અગ્નિવિદ્યા અને અમૃતવિદ્યા બંને હતા, તેને તેના પિતાના પંથે કામ શરૂં કર્યું અને માનવ-માનવ પાસે પહોચ્યો અને દરેકને યોગ્યતા પ્રમાણે આત્મવિદ્યાના પગથિયાં શીખવે છે અને કહે છે કે તમે માનવ છો, અમૃતના પુત્રો છો, આમ લાચાર-દીન થવાનું ના હોય.તમે માનવ પ્રભુના અંશ છો.
નચિકેતાના ગુણો અને વૃત્તિ જોઈને વિવેકાનંદજી અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી નચિકેતા શોધવા અને બનાવવા લાગી જાય છે.આ છે આપણી સંસ્કૃતિનો બીજો છેડો.આ પ્રમાણે જીવનમાં આત્મકલ્યાણની દિશા તરફ આગળ વધવાનું અને સૌને એક પ્રેરણારૂપ કહી શકાય તેઓ નચિકેતા અને યમનો સંવાદ છે જેમાં આત્મવિદ્યાની સારરૂપ વાતો પણ દર્શાવવામાં આવી છે.
વિનોદભાઇ માછી નિરંકારી
નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ
૯૭૨૬૧૬૬૦૭૫(મો)