Mumbai,તા.07
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં સુશાંત સિંહના અને તેની પૂર્વ મેનેજર સાલિયાનના મોત મામલે આદિત્ય ઠાકરેની પૂછપરછ અને ધરપકડની માગ કરતી PIL દાખલ કરવામાં આવી છે. એક્ટર અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત મામલે ચાહકો અને પરિવારજનો હજી પણ ન્યાયની માગ કરી રહ્યા છે. આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે.
બોમ્બે હાઈકોર્ટ કરશે સુનાવણી
બોમ્બે હાઈકોર્ટ આ PIL પર સુનાવણી કરવાની તૈયારી દર્શાવી છે. બંનેના રહસ્યમય મોતની તપાસ કરવાની માગ સાથે આ સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશએ. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ લિટિગેંટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા દાખલ અપીલમાં બંને ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી હોવાની શંકા છે. જેથી સત્ય બહાર લાવવા માટે ઊંડી તપાસની માગ થઈ છે.
અટકાયત અને પૂછપરછની માગ
એસોસિએશનના અધ્યક્ષ રાશિદ ખાન પઠાણે આદિત્ય ઠાકરેની અટકાયત કરી પૂછપરછ કરવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે, 8 જૂનના એક પાર્ટી દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાને પોતાના બોયફ્રેન્ડ સાથે વિવાદ બાદ કથિત રૂપે કૂદીને આપઘાત કર્યો હોવાનું જાણ થયુ હતું. જો કે, તેના એક સપ્તાહથી પણ ઓછા સમયમાં એક્ટરના આપઘાતથી સવાલો ઉઠ્યા હતાં.
સત્તાવાર રૂપે કોઈ તારણ મળ્યુ નહીં
આ કેસની પ્રારંભિક તપાસમાં બંનેના મોતને આપઘાત તરીકે દર્શાવવામાં આવી છે. દિશાના પરિવારે આપઘાતના કારણો સ્વીકાર્યા છે અને ષડયંત્રની અટકળોને ફગાવી છે. જ્યારે રાજપૂતના ચાહકો અને પરિવારજનો આ તેની આપઘાતની થિયરીને સ્વીકારી રહ્યા નથી. તેમને આ મામલે કોઈ મોટુ ષડયંત્ર રચાયું હોવાની આશંકા છે. તેમજ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરે કથિત રૂપે સંદિગ્ધ મોતમાં સામેલ હોવાની અફવાઓ આવી હતી. જો કે, હજી સુધી સત્તાવાર રીતે કોઈ પુરાવો મળ્યો નથી.