Savarkundla,તા.20
સાવરકુંડલાથી બાર કિલોમીટર ભૂવા રોડ પર આવેલા ખડકાળા ગામે પટેલ સમાજના વૃદ્ધો માટે ભોજન પ્રબંધ કરતા દંપતી વચ્ચે કોઈ કારણસર નાના મોટો ઝઘડો થયા બાદ ઉશ્કેરાઈ ગયેલા પતિએ આવેશમાં આવી જઈ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ચાર પાંચ ઘા પેટમાં ઝીકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવ બાદ પત્નીની લાશને રૂમમાં સાંકળ વાસી બાળકોને લઈ પુજા પાદર ગામે બાળકોને મુકી ફરાર થઈ ગયો છે.
વધુ વિગત મુજબ ખડકાળા ગામે સુરત વસતા પટેલ સમાજના આગેવાનોએ એકલદોકલ કે પતિ પત્ની રહેતા હોય એવા વૃદ્ધો માટે ભોજનાલયનો પ્રબંધ કર્યો છે. જેમાં હાલ 15થી 18 વૃદ્ધો ભોજન લાભ લે છે.આ બધા માટે ભોજન મૂળ લીલીયા તાલુકાના પૂજાપાદર ગામના પરેશ નિમાવત અને એની પત્ની આશાબેન નિમાવત બનાવે છે. આ પરિવારમાં દંપતી ઉપરાંત ત્રણ દિકરીઓ અને એક દીકરો છે. એમને રહેવા માટે મોટા મકાનની સગવડ કરી આપી છે.એ બધા ત્યાંજ રહીને ભોજન બનાવતા હતા. આ વ્યવસ્થામાં રૂા. 11000ના પગારથી આ દંપતી બે વર્ષથી કામ કરતા હતા. ગામલોકોના કથન મુજબ દંપતી વચ્ચે સારો સુમેળ હતો. કોઈ માથાકુટ દેખાતી ન હતી. આ ભેદી કારણ વચ્ચે એમ કહેવાય છે કે કોઈ ગંભીર કારણસર પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં આશાબેન નિમાવતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવ બાદ પરેશે રૂમને ઠાલી સાંકળ વાસી મૃતક આશાબેનના શબને ત્યાંજ રાખી ચારેય બાળકોને બાઈક પર બેસાડી એમના મૂળ વતન લીલીયા તાલુકાના પુજા પાદર ગામે મૂકી આવ્યો હતો અને હમણા આવું છુ કહીને ફરાર થઈ ગયો હતો.