ભ્રૂણ હત્યા પાપ ગણાતું આજે પુણ્ય ગણાય છે. માનવ શરીર બહારથી સુંદર બનતું જાય છે. અંદરથી સડતું જાય છે.લોક-દર્શન સૃષ્ટિના સર્જનને ઊભું રાખવાની વાત કરે છે. માનવીમાં પ્રેમ અને દિવ્યતા ભરેલા પડ્યા છે એવું સમજે છે. માણહને બચવાના ધરમે સમજાવેલા મારગમાં દેવદર્શન – ગંગાસ્નાન જેવા ઉપાયમાં ઉંડે ઉંડે માનવીનો અપરાધ ભાવ – પાપની કબૂલાત વધારે દેખાય છે
હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં પુરાણેલા માણહોમાં ભગવાનની વાતું કરનારા – જ્ઞાની – પંડિતો – દર્શન શાસ્ત્રીઓ – સંગીતકારો – સાહિત્યકારો અને કળાના ઉપાસકો જ હતા. એમાંના એક વિચારકે લખ્યું છે કે મેં મારી જિંદગીમાં ખાવાની વાત કયારે ય કરી નોતી. પણ… કેમ્પમાં આખા દિવસમાં એ જ વખત રોટીનો ટુકડો અને કાળી ચા મફ્રતી. જીવતા રીયા ત્યાં સુધી બધા ખાવાની જ વાતું કરીને પેટ ભરતા. રોટીનો ટુકડો મળતો ઈ પણ એક સાથે ખાઈ જાવાને બદલે એક બટકું ખીસામાં સંઘરી દેતા. કદાચ એવું બને કે આગળ જાતાં કાંઈ નો મળે. ભૂખ લાગે ત્યારે બાર કાઢીને બટકું જોઈ લેતા. રાહત મળતી. સંતાડી દેતા.જીવનમાં શ્વાસ – રોટલો – પાણી – ઊંઘ અને મૈથુન એ શરીરની ભૂખ પીડા છે. આ ન મળે તો મહાન પીડા છે. માણહને જે જોઈએ નથી મળતું એની જ પીડા છે. આ દુખ અને પીડાને કારણે જ સ્વર્ગની રચના ઊભી થઈ હશે. જે મળ્યું હોય એની તો યાદી જ નથી. મલકના બધા ધરમ ભગવાનને મેળવવાની મેનત કરે છે. મળી ગીયાના કયાંય ખાતરીબંધ વાવડ નથી. માણહ પ્રેમની વાતું પણ ઉલળી ઉલળીને કરે છે. હું મારી પત્નીને પ્રેમ કરું છું. બાપ કે છે હું દીકરાને પ્રેમ કરું છું. આ બધાની પ્રેમની વાત સાચી હોત તો ધરતી પરનું માનવ જીવન સુગંધથી મહેંકી ઉઠ્યું હોત. જયારે પ્રેમના વેમમાં તો વિશ્વ ગંધાઈ ઉઠયું છે. પ્રેમ બુદ્ધીનો વિષય નથી – થઈ જાય છે. પળ પળ ચાલુ રે અને ટીપે ટીપે મહાસાગર બની જાય છે. પ્રેમ થીયો એની પેલી ઓળખાણ અહમ્નું વિસર્જન છે. અહમ્ મરતો નથી ને પ્રેમ કોઈને થાતો નથી. પ્રેમનું વહન ભાષામાં નથી. મૌનનો અનુભવ છે. શરીરની ભાષા છે. ભારતમાં શાસ્ત્ર-પુરાણમાં ચાર વેદ છે. છ દર્શન – એકસો ચોસઠ સ્મૃતિ-શ્રુતિઓ છે. ઉપનિષદ છે. વેદનો સીધો અરથ વેદવું – જાણવું એવો છે. આયુર્વેદ – ધનુર્વેદ જેવી વિદ્યાને પણ વેદ કે છે. વેદમાં છનુ હજાર મંત્ર કર્મકાંડના છે. ચાર હજાર જ્ઞાનના – સોળ હજાર સંસારના છે. વિશ્વની બધી પ્રજા પાંહે પણ એમના શાસ્ત્રો છે. બધાં શાસ્ત્રો મૃત્યુથી બચવા મોક્ષ ફરતા ફરે છે. વિનાશ સુધી જ ચાલે છે. આજે તો અશાંતિ – પીડા – ભય વધતા જ જાય છે. ઈ જોતાં આ બધાં સાધનમાં ભરોસો નથી પડતો. વસ્તી વધતી જાય છે એમ નવા કર્મો પણ વધતા જાય છે. કર્મની વ્યાખ્યા અને સમીકરણો બદલાતા જાય છે. એક સમયમાં પાંચ પુત્ર આશીર્વાદ હતો. આજે શ્રાપ બને છે. ભ્રૂણ હત્યા પાપ ગણાતું આજે પુણ્ય ગણાય છે. માનવ શરીર બહારથી સુંદર બનતું જાય છે. અંદરથી સડતું જાય છે.લોક-દર્શન સૃષ્ટિના સર્જનને ઊભું રાખવાની વાત કરે છે. માનવીમાં પ્રેમ અને દિવ્યતા ભરેલા પડ્યા છે એવું સમજે છે. માણહને બચવાના ધરમે સમજાવેલા મારગમાં દેવદર્શન – ગંગાસ્નાન જેવા ઉપાયમાં ઉંડે ઉંડે માનવીનો અપરાધ ભાવ – પાપની કબૂલાત વધારે દેખાય છે.સૃષ્ટિનો નિયમ વર્તુળમાં હાલતો હશે. બીજમાં આખું ઝાડ સંકેલાઈને બેઠું છે. અદૃશ્ય ચેતનાની પ્રવૃત્તિ છે. બીજ ઝાડ બની જાય છે. ફુલ-ફળ આપી દે છે. છેલ્લે ફરીને સામે બીજ બનીને જ ઊભું રે છે. લોક-દર્શનની મેનત છે કે સૃષ્ટીના સર્જન – પરિવર્તનના નિયમને વધારે ઉંડાણથી સમજી લેવું પડે.માનવ શરીરની ઈંદ્રિયો બહાર દેખાય છે એ સ્થૂળ સ્વરૂપ છે. સ્થૂળ ઈંદ્રિયો બહારના ભૌતિક પદાર્થોના અનુભવ કરે છે. આ ઈંદ્રિયોનું સૂક્ષ્મ સ્વરૂપ શરીરમાં અંદર પણ છે એવું મનાય છે. એને ચેતનાનો અનુભવ થાય છે. આ અનુભવ આત્માનો – શરીરનો સાચો આનંદ છે. આનંદ એક અનુભવ છે. લોક-દર્શનનો અનુભવ છે કે સાઈઠ સિત્તેર વરહના આયખામાં સુખ શાંતિ-આનંદના અનુુભવને સમય તો માંડ માંડ – કટકે કટકે – પાંચ દહ વરહનો ગણાય. સોનું – રૂપું ને રૂપિયામાંથી આનંદ મળવાની વાત વેમ છે. લોક-દર્શન કે છે માણહ ઉંડે ઉંડે જે માગે છે એમાં લાડ-ખમકારો – વહાલ આ ત્રણ વસ્તુ જ છે. જનેતાએ ખોળામાં સૂવડાવીને લાડ લડાવ્યા છે એ બાળકની ચેતનામાં કોતરાઈ જાય છે. છેલ્લા શ્વાસ સુધી મને કોઈ લાડ લડાવે એની વાટ્ય જોવે છે. ખમકારો એટલે કોકનો પડકારો કે હું બેઠો છું. આ ખમકારો બેનની રાખડીમાં દેખાય છે. માણહ ખમકારાની વાટ જોવે છે. દીકરી વહાલનો દરિયો છે. દીકરી બાપને લાડ લડાવે એવાં કોઈ નો લડાવે. સાચો સરવાળો જીવનનો એવો નીકળે છે કે પુરુષ-પતિ પત્નીમાં મા ગોતે છે. સ્ત્રી – દીકરી – પત્ની પતિમાં બાપ ગોતે છે. લાડ ગોતે છે. આ લાડ-ખમકારો – વહાલ પરિવારમાંથી જ મળવાનો છે. આવો પરિવાર તીરથ ધામ છે. વ્યકિત પરિવાર બને. પરિવાર દેશ બને. દેશ વિશ્વ બને.એક ઘટના છે. બગીચાના માળી અને માછીમારની દીકરી પાકી ગોઠણ છે. એક જ નિશાળે ભણે છે. માળીની દીકરી એ ગોઠણને કીધું તું મારે ઘેર રેવા આવ્ય. પરીક્ષાની તીયારી બેય ભેગા કરશું. બેયે ખાઈ પીને આનંદ કર્યો લેશન કરી લીધું. પથારીમાં પડ્યા. બે ત્રણ કલાક થીયા તો યે ગોઠણને નીંદર નથી આવતી. ઊભી થઈને ચારે કોર્ય ખાંખાં ખોળા કરે છે. ગોઠણે પુછયું. તને ઊંઘ કેમ આવતી નથી? શું તકલીફ છે? જવાબ મળ્યો. તારા આ ઓરડામાં આ ફૂલના ઢગલા પડયા છે એની ગંધ મારાથી સહન નથી થાતી.નિદાન એવું છે કે માછીમારની દીકરી માના ઉદરમાં હતી ત્યારથી માછલીની ગંધ શરીરમાં બેહી ગઈ છે. એ સિવાયની બધી ગંધ એના માટે દુર્ગંધ છે. ભૌતિક – સ્થૂળ ઇન્દ્રિયોના અનુભવ – સંસ્કાર બની ગીયા છે. સંસ્કાર કર્મ કરાવે છે. અનુભવ કરાવે છે. એને માછલીની પથારીમાં સૂવડાવો તો જ ઊંઘ આવે. સ્થૂળ ઈન્દ્રિયોના અનુભવ ચેતના સુધી હાલે છે. આ વાતમાં ધરમ – શાસ્તર – માનસશાસ્ત્ર અને સંજોગો માનવીની જરૂરિયાત ભૂખ – તરસ – ઊંઘ – શ્વાસ લેવામાં કોઈ કર્મ કુશળતાની જરૂર નથી પડતી. હર માણહને મા-બાપ – પતિ-પત્ની અને ભાઈ બેન મળે છે એ બધા સુગંધી ફૂલડાં છે.