New Delhi,તા.24
દેશની રાષ્ટ્રીયકૃત સહિતની બેન્કોએ કોરોનાકાળ બાદ જે રીતે વધુને વધુ અનસિકયોર્ડ ધિરાણ કર્યુ હતું તે અંગે રિઝર્વ બેન્ક અનેક વખત ચેતવણી આપી હતી કે તે હવે ક્રેડીટ કાર્ડમાં પણ બેન્કોના વધેલા એનપીએનો રેલો બેન્કોના પગ હેઠળ આવી ગયો છે. ખાસ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા અને અન્ય સરકારી બેન્કો સપ્ટેમ્બર 2011થી ઓકટો 2023ના ગાળા દરમ્યાન ક્રેડીટકાર્ડ વેચાણમાં આક્રમક અભિગમ અપનાવ્યો હતો.
હવે સપ્ટેમ્બર 2024ના અંતે જાહેર ક્ષેત્રની (સરકારી) બેન્કોનો ક્રેડીટ કાર્ડ બેડ લોન 12.7% થયુ છે એટલે કે તેના કુલ ક્રેડીટકાર્ડ ધિરાણની 12%થી વધુ રકમ બેન્કોમાં પરત આવી નથી. જે ખાનગી ક્ષેત્રની બેન્કો કરતા 2.1% વધુ છે. કેર રેટીંગના સિનીયર ડીરેકટર સંજય અગ્રવાલે કહ્યું કે, બેન્કો તેની જ ક્રેડીટ કાર્ડ માટે જે રીતે ગ્રાહકોને ધિરાણ લેવા અત્યંત આક્રમકતાથી માર્કેટીંગ કરતી હતી તેનું આ પરિણામ છે.
જાહેર ક્ષેત્રની બેન્કોએ જેની ક્રેડીટ હીસ્ટ્રી મર્યાદીત હતી. તેઓને પણ ક્રેડીટ કાર્ડ આપ્યા હતા અને ખાનગી ક્ષેત્રની બેન્કોએ મજબૂત ક્રેડીટ પ્રોફાઈલ ધરાવતા લોકોને તેમના આ ક્રેડીટ બીઝનેસનો લાભ આપ્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના આંકડા મુજબ 24 જાન્યુ.2025ના બેન્કોનું કુલ ક્રેડીટ કાર્ડ ધિરાણ રૂા.2.9 લાખ કરોડ થયું છે અને વાર્ષિક ધોરણે 13% વધુ છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો ક્રેડીટ કાર્ડ સકર્યુલેશનમાં 24% નો ફાળો છે. આ ક્ષેત્રની બેન્કોમાં સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્કનો હિસ્સો 94% છે.
સરકારી બેન્કોના કુલ 10.90 કરોડ ક્રેડીટ કાર્ડ ફરી રહ્યા છે.
જેમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના એસબીઆઈ કાર્ડનો હિસ્સો મોટો છે. મોટાભાગના ડિફોલ્ટ નાની રકમના ક્રેડીટ કાર્ડમાં છે જે સપ્ટે. 2021થી ઓકટો 2023 વચ્ચે ઈસ્યુ થયા હતા. બેન્કો વચ્ચે ક્રેડીટ કાર્ડ ધિરાણ માટે જે સ્પર્ધા સર્જાઈ હતી તેના કારણે મોટી સંખ્યામાં ક્રેડીટ કાર્ડ ઈસ્યુ થયા હતા. ખાસ કરીને રૂા.25000 થી રૂા.50000 સુધીનું ક્રેડીટકાર્ડ ધિરાણ વધુ ડિફોલ્ટ થયુ છે.