કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાલમાં જ સંસદને એક સુખદ સમાચાર આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સંગઠન હુર્રિયત કોન્ફરન્સના કેટલાક જૂથોએ ભારત પ્રત્યે નિષ્ઠાવાન રહેવાનો નિર્ણય કર્યો છે. આ જૂથોમાં કાશ્મીરના સૌથી કટ્ટર અને પાકિસ્તાનતરફી મનાતા નેતા સૈયદ અલી શાહ ગિલાનીના રાજકીય વારસ મોહંમદ શફીની પાર્ટી ડેમોક્રેટિક પીપલ્સ મૂવમેન્ટ પણ સામેલ છે. આ પરિવર્તન દર્શાવે છે કે કાશ્મીરના કટ્ટરપંથી અલગતાવાદી ઇસ્લામિક જૂથો પર અનુચ્છેદ ૩૭૦ની સમાપ્તિ બાદથી કરવામાં આવેલ સખ્તાઇનાં અપેક્ષિત પરિણામો જોવા મળી રહ્યાં છે. અનુચ્છેદ ૩૭૦ના ખાતમા બાદ સરકારે હુર્રિયતમાં સામેલ કેટલાય અલગતાવાદી જૂથો પર ગેરકાયદે ગતિવિધિ નિવારણ અધિનિયમ એટલે કે યુએપીએ અંતર્ગત પ્રતિબંધ લગાવી દીધો હતો. તેની સાથે જ પાકિસ્તાનથી અને વિભિન્ન પ્રકારની ગેરકાયદે ગતિવિધિઓથી પ્રાપ્ત થનારા કાળા નાણાંના પ્રવાહને રોકવા માટે પણ કઠોર કાર્યવાહી કરવામાં આવી. ગત ૧૨ માર્ચે જ મીરવાઇઝ ઉમર ફારુકની અવામી એક્શન કમિટી પર પ્રતિબંધ લગાવીને સ્પષ્ટ સંકેત આપ્યા કે કાશ્મીરમાં અલગતાવાદની કોઈ દુકાન ચાલવા દેવામાં નહીં આવે, ચાહે તેને ચલાવનારો ગમે તેટલું મોટું નામ કેમ ન હોય. આ દરમ્યાન અમિત શાહે કેટલીય વાર દોહરાવ્યું કે અનુચ્છેદ ૩૭૦ની કોઇપણ સ્થિતિમાં વાપસી થવાની નથી. તેમના અને મોદી સરકારના આ સંકલ્પે અલગતાવાદીઓનું મનોબળ તોડવાનું કામ કર્યું છે. તેનું એ પરિણામ નીકળ્યું છે કે રાજકીય મહત્ત્વાકાંક્ષા ધરાવનારા કાશ્મીરી મુસ્લિમ નેતાઓને સમજાઈ ગયું કે જો રાજકીય વજૂદ બનાવી રાખવું હશે તો અલગતાવાદી રાજનીતિ છોડવી પડશે.
મોદી સરકારની આ નીતિ મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારની બાપડી-બિચારી નીતિથી એકદમ વિપરીત છે. મનમોહન સરકાર તો હુર્રિયતના જૂથોમાં એ શોધવાનો પ્રયાસ કરતી હતી કે તેમનામાં નરમ અલગતાવાદી કોણ છે!! મનમોહન સરકારે સંભવતઃ તેમને નરમ અલગતાવાદી માન્યા જેઓ કાશ્મીરની આઝાદીનો રાગડો તો તાણતા હા, પરંતુ સીધી રીતે પાકિસ્તાનમાં સામેલ થવાની વાત નહોતા કરતા. મનમોહન સરકારે ક્યારેય વિચાર્યું જ નહીં કે કાશ્મીરની આઝાદી ક્યારેય સંભવ જ ન બને, કારણ કે ભારતથી અલગ થતાં જ પાકિસ્તાન બળપૂર્વક તેના પર કબ્જો કરી જ લે. નરમ અલગતાવાદને હવા આપનારી મનમોહન સિંહની પાંગળી સરકારની આ વિવેકશૂન્ય નીતિના દાયરામાં તો યાસિન મલિક જેવો આતંકી પણ આવી ગયો હતો! એ દોરમાં આવા આતંકીની વડાપ્રધાન આવાસ પર લાલ જાજમ બિછાવી આગતા-સ્વાગતા કરાતી હતી.
જ્યારે ભારત સરકાર જ હુર્રિયતના અલગતાવાદી નેતાઓને કાશ્મીર પર ચર્ચા માટે બોલાવીને તેમને કાશ્મીરીઓના પ્રતિનિધિ રૂપે માન્યતા આપતી હતી, તો પાકિસ્તાન પણ દ્વિપક્ષીય મંત્રણામાં હુર્રિયતને પક્ષ બનાવવાની જિદ કરતું હતું. દિલચસ્પ વાત તો એ હતી કે હુર્રિયત ચૂંટણીઓનો બહિષ્કાર કરતી હતી, છતાં તેને કાશ્મીરીઓના પ્રતિનિધિ માનવામાં આવતા હતા. સ્પષ્ટ છે કે સડકો પર દંગા-ફસાદ કરવાની હુર્રિયતની ક્ષમતાથી જ તેને કાશ્મીરીઓના પ્રતિનિધિ માની લેવામાં આવ્યા હતા. તેને કારણે ભારતને ગાળો આપનારા અને ખુદને પાકિસ્તાની ગણાવનારા સૈયદ અલી શાહ ગિલાની જેવા હુર્રિયત નેતાઓની દિલ્હીમાં ખૂબ આગતા-સ્વાગતા થતી હતી. તેની સારવાર પણ ભારતની સારામાં સારી હોસ્પિટલોમાં કરાવવામાં આવતી. તેનાં બાળકોનું શિક્ષણ પણ પ્રતિષ્ઠિત દેશી-વિદેશી સંસ્થાઓમાં થતું રહ્યું.
ભાજપ સરકારે કરેલા અનુચ્છેદ ૩૭૦ના ખાતમા બાદ હુર્રિયતના એ સોનેરી દિવસો આથમી ગયા. હવે હુર્રિયતના રાષ્ટ્રવિરોધી નેતાઓએ જેલમાં રહેવું પડે છે કે પછી ભારત પ્રત્યે નિષ્ઠાવાન રહેવાના સોગંદ લેવા પડે છે. આ બધું સાબિત કરે છે કે દાયકાઓ સુધી કોંગ્રેસની નમાલી સરકારોએ આ અલગતાવાદીઓને લઈને અપનાવેલ પાંગળી નીતિઓએ જ કાશ્મીરમાં અલગતાવાદને મજબૂત કર્યો હતો.