વડાપ્રધાન મોદીએ મુદ્રા યોજનાનાં દસ વર્ષ પૂરા થવાના અવસર પર આ યોજનાના લાભાર્થીઓને પોતાના આવાસ પર આમંત્રિત કરીને તેમના પ્રત્યે આખા દેશનું ધ્યાન ખેંચવાનું કામ કર્યં. આ એક મોટી ઉપલબ્ધિ છે કે છેલ્લા દસ વર્ષોમાં પીએમ મુદ્રા યોજના અંતર્ગત ૫૨ કરોડથી વધારે લોકોને ૩૨ લાખ કરોડથી વધારે રકમની લોન આપવામાં આવી. લાભાન્વિત થનારા લોકો તરફથી લોન રૂપે વિતરિત રાશિ પણ બહુ મોટી છે. એ ઉત્સાહજનક છે કે મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં લગભગ ૭૦ ટકા મહિલાઓ છે. એનાથી બહેતર બીજું કશું નથી કે આ યોજના મહિલાઓને ઉદ્યમશીલ બનાવવાની સાથે તેમને આર્થિક રૂપે સશક્ત બનાવવાનું કામ કરી રહી છે. આ તથ્ય પર પણ વિશેષ રૂપે ધ્યાન આપવું જોઇએ કે આ યોજના અંતર્ગત લોન લેનારામાંથી ૫૦ ટકાથી વધારે અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગના છે. જોકે આ યોજના દ્વારા નાના વ્યવસાયોને આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવે છે, તેથી એ નિષ્કર્ષ પર પહોંચી શકાય કે ઘણા લોકોને સ્થાનિક સ્તર પર જ કામ મળ્યું હશે અને તેમનું પલાયન પણ અટક્યું હશે. એ સારું થયું કે વડાપ્રધાને મુદ્રા યોજનાના લાભાર્થીઓની સફળતાની કેટલીક કહાનીઓ રેખાંકિત કરી. તેનાથી અન્ય લાભાર્થીઓને પ્રેરણા મળશે.
મુદ્રા યોજના સંદર્ભે એ સંતોષજનક છે કે મોટાભાગનાં લેણાં પાછાં આવી રહ્યાં છે. એક આંકડા અનુસાર આ યોજના અંતર્ગત આપવામાં આવેલ લોન રાશિના લગભગ ત્રણ ટકા જ એનપીએ એટલે કે ફસાયેલાં લેણાંમાં તબદીલ થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે ઓછી રકમની લોન લેનારા તેને પાછી ચૂકવવા પ્રત્યે ક્યાંય વધુ તત્પરતા દેખાડે છે. જોકે આજનો યુગ એ છે, જે એવી માંગ કરે છે કે વધુને વધુ લોકો નોકરી માગવાને બદલે નોકરીઓ આપવામાં સમર્થ બને, તેથી યોગ્ય એ રહેશે કે તેનું આકલન કરવામાં આવે કે મુદ્રા યોજના દ્વારા એવું થઈ રહ્યું છે કે નહીં? માત્ર એટલાથી સંતુષ્ટ ન થઈ જવું જોઇએ કે આ યોજનાના લાભાર્થી પોતાના પગ પર ઊભા થઈ શકે છે, કારણ કે વાત તો ત્યારે બનશે, જ્યારે તેઓ એટલા સમર્થ બનશે કે બે-ચાર લોકોને રોજગાર પણ આપી શકે. એ સમયની માંગ છે કે ઓછી રકમની લોન લેનારા વધુ રકમની લોન લેવા માટે ઉત્સાહિત થાય અને તેઓ એને સમય પર ચૂકવવામાં પણ સમર્થ હોય. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને તેના માટે પ્રેરિત કરવા જોઇએ કે એવી યોજનાઓ ચલાવવામાં આવે કે મુદ્રા યોજનાના લાભાર્થી પોતાનો જે પણ ઉદ્યમ ચલાવી રહ્યા છે, તેને તેઓ સૂ-મ અને લઘુ ઉદ્યોગમાં પરિવર્તિત કરી શકે. એક જિલ્લા-એક ઉત્પાદન જેવી યોજનાઓ તેમાં સહાયક બની શકે છે.