વર્ષ ૨૦૧૬માં લેવાયેલી પશ્ચિમ બંગાળ સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટના ૨૫ હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂકને હાઇકોર્ટે ગેરકાયદેસર ઠેરવીને સંબંધિત સ્ટાફને બરતરફ કર્યો છે. તે વખતે ૨૪૬૪૦ જગ્યાઓ માટે ૨૩ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પણ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે ને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે ને એમાં સુધારાને કોઈ અવકાશ નથી. આવું એટલે થયું છે કે આ ભરતીમાં લાંચ લેવાનો આરોપ છે. સુપ્રીમે યોગ્ય ચુકાદો આપ્યો છે એ સ્વીકારવા છતાં ૨૩ લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય ને એમાંથી પસંદગી પામેલા બધા જ ઉમેદવારોએ લાંચ ન આપી હોય ને બીજી બધી રીતે તેઓ પસંદગીમાં યોગ્ય ઠર્યા હોય તો પાપડી ભેગી ઇયળ ન બફાય તે પણ જોવાનું રહે. એ અત્યંત દુખદ છે કે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું જેનું કામ છે એવા શિક્ષકોમાંથી કેટલાક ભ્રષ્ટાચારી પણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી આપનારા ને લેનારા ભ્રષ્ટાચારથી ખદખદે છે.
નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં ભારત દેશમાં દાખલ કરવામાં આવી, એ વાતને પાંચ વર્ષ થયાં, પણ વાત કોઈ ખાસ ઉંચાઈ સુધી આગળ વધતી નથી. શિક્ષણ નીતિ-૨૦૨૦નાં ગુણગાન ચાલે છે, પણ તેનો અમલ કરાવવાની ગતિ ખુબ ધીમી અને ઢીલી રાખવામાં આવી છે. દેશમાં આજે પણ લગભગ ૮ લાખથી વધુ જગ્યાઓ પર શિક્ષકો નીમવાના બાકી છે. એટલો ફેર પડયો છે કે આગલાં વર્ષોમાં એ સંખ્યા ૧૦ લાખની હતી, તે હવે ૮ લાખ પર આવી છે. આ નવી શિક્ષા નીતિનો અમલ શિક્ષકો દ્વારા જ શક્ય હોય તો પૂરતી સંખ્યામાં શિક્ષકો નીમવા જોઈએ, જેથી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે થાય. શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાતી નથી તે હકીકત છે. ગુજરાતમાં ભરતી કરવાની આવે છે ત્યારે સરકારના હાથ તંગ થઈ જાય છે. ભરતી રાજ્યની જ જવાબદારી હોય તો કેન્દ્રીય શિક્ષણ વિભાગે પત્ર લખવાની જરૃર કેમ પડે છે? રાજ્યો કેન્દ્રના આદેશોનું પાલન નથી કરતાં કે જવાબદારી કેન્દ્રની છે ને ગાળિયા તે કાઢે છે? આ ઢોળાઢોળ જ હોય તો આવા રાજકીય ખેલો બંધ થવા જોઈએ. ઘણું ખરું તો ૧૧ મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને કારભાર કરે છે. શિક્ષકો હંગામી કેમ? હંગામી એટલા માટે કે શિક્ષકોને કાયમી કરે તો તેમને પેન્શન વગેરે નિવૃત્તિ પછીના લાભો આપવાના થાય. સરકાર નિવૃત્તિ પછીના લાભો આપી શકે એમ નથી, તો શિક્ષકોને જ હોળીનું નાળિયેર કેમ બનાવાય છે? હંગામી – કરાર આધારિત ભરતી કરીને, કોન્ટ્રાકટ પદ્ધતિ પ્રમાણે શિક્ષકોની સંખ્યા જરૃર મુજબ રાખે તો શિક્ષણ સમૃદ્ધિ પામે.
રાજ્યમાં ૨૫ઃ૧ના રેશિયો પ્રમાણે ૪.૫૯ લાખ શિક્ષકો હોવા જોઈએ, તેને બદલે ૩.૯૪ લાખ જેટલા જ છે. ટૂંકમાં, ૬૫ હજાર જેટલા શિક્ષકોની ઘટથી કારભાર ચાલે છે ને આ ઘટ આજની નથી, ૨૦૧૭થી ચાલતી હોવાની વાત છે.