પહેલગામમાં બર્બર આતંકી હુમલા પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકના થોડા દિવસ બાદ જ રાજકીય પક્ષો પર દેશહિતના સ્થાને કઈ રીતે પક્ષીય હિતો હાવી થઈ ગયાં, તેનો નમૂનો કોંગ્રેસ દ્વારા એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં વડાપ્રધાનને ગાયબ ગણાવતાં તેમને માથા વગર દેખાડવાથી મળ્યો છે. આવી પોસ્ટ ત્યારે આવી જ્યારે વડાપ્રધાન તો દિલ્હીમાં જ છે, તેઓ ખરા ટાણે ‘બેંગકોક’ કે ‘વિયેતનામ’ વેકેશન માટે નથી ઉપડી ગયા! આશ્ચર્ય નહીં કે ભાજપે તરત જ આ પોસ્ટનો જવાબ આપ્યો કે આ તો ‘સર તન સે જુદા’વાળી માનસિકતા દર્શાવતી પોસ્ટ છે. શું એનાથી મોટી કોઈ વિટંબણા હોઈ શકે કે દેશ-દુનિયાને ધ્રુજાવનારા આતંકી હુમલાના એક અઠવાડિયાની અંદર આપણા રાજકીય પક્ષો એકબીજાની નિમ્ન ટિપ્પણીઓનો જવાબ આપવામાં પોતાનો સમય ગુમાવવા લાગ્યા છે. આવું કરવાથી તેઓ દેશના શત્રુઓને એ જ સંદેશ આપી રહ્યા છે કે સંકટ સમયે ભારતનો રાજકીય વર્ગ એકજુટ નથી. તેઓ સુરક્ષા દળો અને સાથે જ સામાન્ય નાગરિકોને શો સંદેશ આપી રહ્યા છે? પ્રશ્ન એ પણ છે કે આ ક્લેશથી આંતરરાષ્ટ્રીય સમુદાયને શો સંદેશ જઈ રહ્યો હશે? તેની અવગણના ન કરવામાં આવે કે રાજકીય માહોલમાં નકારાત્મકતા પેદા કરનારી એ પોસ્ટ પહેલાં વિપક્ષ અને વિશેષ રૂપે કોંગ્રેસના કેટલાય નેતાઓનાં એવાં વાહિયાત નિવેદન આવી ગયાં, જેમાં કોઈ કહી રહ્યું હતું કે પાકિસ્તાન સાથે યુદ્ઘની શી જરૂર, કોઈ પૂછી રહ્યું હતું કે આતંકીઓ પાસે એટલો સમય ક્યાં હતો કે તેઓ લોકોને તેમનો મજહબ પૂછીને મારતા? જો આ બધું સામાન્ય અને સહજ છે તો પછી સર્વપક્ષીય બેઠકમાં બનેલી સહમતિ કઈ વાતે હતી?
એ સારું થયું કે આખરે કોંગ્રેસને ભાન આવ્યું અને તેણે વાંધાજનક પોસ્ટ દૂર કરી દેવી પડી, પરંતુ શું હવે નુક્સાનની ભરપાઈ થઈ શકશે? કોંગ્રેસ દ્વારા પહેલગામ હુમલા પર સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ પહેલાં જ જે પ્રકારે સરકાર વિરુદ્ઘ મોરચો ખોલી દેવામાં આવ્યો તેને જોતાં શંકા છે કે એવું કોઈ આયોજન સંભવ થઈ શકશે અને તેમાં દેશ-દુનિયાને સાચો સંદેશ જઈ શકશે. અંદેશો એ જ છે કે સંસદમાં પણ તૂતૂ-મૈંમૈં થશે, કારણ કે ત્યાં સાંસદો ગમે તે બોલી નાખવા માટે સ્વતંત્ર હશે. તેઓ ત્યાં પણ દેશ હિતને બદલે પક્ષય હિતને પહેલી પ્રાથમિકતા આપે તો આશ્ચર્ય નહીં. ભારત જેવા રાષ્ટ્રને કઠિન સમયમાં પરિપક્વ દેશની જેમ વ્યવહાર કરતાં આવડવું જોઇએ. તેના માટે એ જરૂરી છે કે સૌથી પહેલાં રાજકીય પક્ષો પોતાના આચરણથી ઉદાહરણ રજૂ કરે. તેઓ નહીં કરે તો પછી તેમના સમર્થક કેવી રીતે કરશે? એમાં શંકા નહીં કે પહેલગામ હુમલાને લઈને સતર્કતામાં ચૂક સાથે જોડાયેલા કેટલાય સવાલ છે. આ સવાલો પૂછવામાં વાંધો નહીં, પરંતુ હાલમાં તેમને જરૂરિયાત કરતાં વધારે મહત્ત્વ આપવું જરૂરી છે કે પછી ખતરા સામે એકજુટ થઈને મુકાબલો કરવાને?