અત્યાર સુધી આ મુદ્દે વિરોધી વલણ અપનાવી રહેલી મોદી સરકાર છેવટે એ નિષ્કર્ષ પર પહોંચી કે જાતિગત જનગણના કરાવવી જોઇએે. આ ભારતીય રાજનીતિ અને સમાજ પર વ્યાપક પ્રભાવ પાડનારો નિર્ણય છે. આના પહેલાં જાતિગત જનગણના ૧૯૩૧ એટલે કે અખંડ ભારતમાં અંગ્રેજોએ કરાવી હતી. ૨૦૧૧માં મનમોહન સરકારે જાતિવાર જનગણના કરાવી ખરી, પરંતુ તેમાં એટલી જટિલતાઓ જોવા મળી કે તેના આંકડા જ જાહેર ન કરી શકી. તેના પછી કેટલાંક રાજ્યોએ જાતિઓની ગણતરી કરવા માટે સર્વે કરાવ્યા, કારણ કે જનગણના કરાવવાનો અધિકાર માત્ર કેન્દ્રને જ છે. જોકે ભાજપે બિહારમાં જાતિ આધારિત સર્વેનું સમર્થન કર્યું, પરંતુ જાતિગત જનગણનાને લઈને તેનું વલણ વિરોધી જ રહ્યું હતું. આરએસએસે પણ જાતિગત જનગણનાનું સમર્થન કર્યું. ત્યારે કોંગ્રેસ અને કેટલાક પ્રાદેશિક પક્ષો જાતિ આધારિત જનગણના પર ભાર મૂકી રહ્યા હતા. સૌથી વધારે જોર રાહુલ ગાંધી કરી રહ્યા હતા, જ્યારે નેહરુથી માંડીને નરસિંહ રાવ સુધીના વડાપ્રધાનો તેના વિરોધમાં રહ્યા હતા. એ નક્કી છે કે જાતિગત જનગણના કરાવવાના નિર્ણય પર જ્યાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો તેનું શ્રેય લેશે, જ્યારે ભાજપ તેને સામાજિક ન્યાયકેન્દ્રિત પોતાની પહેલ ગણાવશે.
પ્રશ્ન એ છે કે જાતિ આધારિત જનગણના સામાજિક ન્યાયમાં સહાયક બનશે કે પછી જાતિવાદી રાજકારણ માટે નવા દરવાજા ખોલી આપશે? એ ઘણું કરીને એના પર નિર્ભર રહેશે કે જાતિગત જનગણનાના આંકડાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે. જાતિ ભારતીય રાજકારણની એક સચ્ચાઈ છે, એટલે સૈદ્ઘાંતિક રીતે એ યોગ્ય લાગે છે કે જ્યારે સામાજિક કલ્યાણની યોજનાઓના અમલમાં જાતિઓ એક આધાર બને છે, ત્યારે પછી તેના સ્પષ્ટ આંકડા હોવા જ જોઇએ કે કઈ જાતિના કેટલા લોકો છે અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ શી છે. અત્યાર સુધી અનુસૂચિત જાતિઓ-જનજાતિઓની તો ગણતરી થતી રહી છે, પરંતુ અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીની નહીં. હવે તમામ જાતિઓની ગણતરી થશે. આ ગણતરી મુસ્લિમ, ઇસાઇ અને અન્ય સમુદાયોમાં પણ થવી જોઇે, કારણ કે કોઈ ગમે તે દાવા કરે, જાતિ અને તેના આધારિત વિભેદ બધી જ જગ્યાએ છે. એનાથી પણ વધુ જરૂરી, બલ્કે અનિવાર્ય એ છે કે જાતિગત જનગણના જાતિવાદની રાજનીતિનું હથિયાર ન બને અને તે ભારતીય સમાજને વિભાજિત ન કરવા પામે. આ અંદેશાને દૂર કરવાના કેટલાક ઠોસ ઉપાય થવા જ જોઇએ કે જાતિ આધારિત જનગણના જાતીય વિભાજનનું કારણ ન બને. આ અંદેશો એટલા માટે છે, કારણ કે એ કોઈથી છૂપું નથી કે કેટલાય રાજકીય પક્ષો ખુલ્લેઆમ જાતિની રાજનીતિ કરે છે. તેઓ અમુક-તમુક જાતિઓનું નેતૃત્વ કરવા માટે જ ઓળખાય છે, સાથે જ તેઓ એવો દાવો પણ કરે છે. જાતિ આધારિત જનગણનાનો લાભ છે તો સામે તેના નુક્સાન પણ છે. એનાથી બહેતર બીજું કશું નથી કે જાતિગત જનગણના વંચિતો-પછાતોના ઉત્થાનમાં સહાયક બને, પરંતુ જો તે વિભાજનને વધારશે તો દેશની એકજુટતા પ્રભાવિત થશે અને એનાથી દુર્ભાગ્યપૂર્ણ બીજું કશું જ નહીં હોય.