Gandhinagar,તા.૧૩
ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. એવામાં કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થવાની આશંકા છે. એવામાં પ્રાથમિક સરવે પૂરો કરીને બે દિવસમાં કૃષિ વિભાગને રિપોર્ટ સબમિટ કરવાનું જણાવવામાં આવ્યું છે. સત્રના અંત સુધીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે. મળતી માહિતી મુજબ કમોસમી વરસાદના કારણે કેરી, ચીકુ જેવા બાગાયતી પાકોમાં મોટાપાયે નુકસાન થયાની આશંકા છે. આ સિવાય મગ, તલના પાકને પણ નુકસાન થયું છે. છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવામાં ખેડૂતોની માંગના આધારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા નુકસાનીના સરવેનો આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બે દિવસની અંદર અધિકારીઓ પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરી દેશે અને આગામી સપ્તાહમાં ફાઇનલ રિપોર્ટ કૃષિ વિભાગને સબમિટ કરશે. આ ઉપરાંત સરવેની કામગીરી ના ધારા-ધોરણ હેઠળ કરવામાં આવશે. એટલે કે, જે ખૂડતોના ૩૩% થી વધારે પાકનું નુકસાન થયું હશે તેમને વળતર આપવામાં આવશે.