Rajkot તા .16
આજે રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નિકળશે. વિજયભાઈ રૂપાણી ભાજપના સિનિયર નેતા હતા અને છેલ્લા 5 દાયકાઓથી તેઓ સક્રિય રાજકારણમાં હતાં. તેમની વિધાર્થી નેતાથી લઈ કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય-સહિતના હોદ્દાઓ રાજકોટથી ચૂંટાયા હતા.
ગત 12 જૂનના રોજ તેઓનું અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં દુખદ અવસાન થયું હતું. ગઈકાલે 15 જૂનના રોજ તેમના પાર્થિવ દેવના ડીએનએ સેમ્પલ મેચ થયા હતા અને આજે પરિવારજનોને દેહ સોંપાયો હતો.
રાજકોટમાં આજે અંતિમ વિધિ થશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, રાજ્યપાલ આચાર્ય દેવરતજી, કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત સંઘ ભાજપના સિનિયર નેતાઓએ રાજકોટ આવશે.
અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, રાજ્યપાલ, નડ્ડા, પાટીલ સહિત નેતા બપોરે 3.30 થી 4 વચ્ચે રાજકોટ એરપોર્ટ પહોંચશે. ત્યારે સંતોષજી અને રત્નકારજી અમદાવાદ થી રાજકોટ બાય રોડ આવશે.
તમામ નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પ્રકાશ સોસાયટી ખાતેના નિવાસસ્થાન પૂજિત પર પહોંચશે, અને ત્યારબાદ રામનાથપરા સ્મશાનમાં અંતિમ વિધિ સુધી સાથે રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે અમિતભાઈ શાહનો વર્ષો જૂનો આત્મીય નાતો રહ્યો છે.
વિજયભાઈના નિધન પર તેઓએ ટ્વિટ પર કર્યું હતું કે હજુ વિશ્વાસ નથી થતો કે વિજયભાઈ આપણી વચ્ચે નથી. આજે તેમના મિત્ર, પક્ષના સાથી નેતાને શ્રધ્ધાંજલી પાઠવવા અને પરિવારને સાંત્વના આપવા રાજકોટમાં બે કલાક થી વધુ સમય માટે રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી હોવાથી તેમનો પોલીસ પ્રોટોકોલ પણ રાજકોટ આવી પહોંચ્યો છે.
આ ઉપરાંત વિજયભાઈ રૂપાણીએ સંઘ અને ભાજપમાં જેમની પર સાથે કામ કર્યું છે તે સૌ નેતા રાજકોટ આવશે. હાલની કેબિનેટ અને વિજયભાઈ મુખ્યમંત્રી હતા તે સમયે કેબિનેટના મંત્રીઓ જેમકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, વગેરે સહિતના નેતાઓ રાજકોટ આવશે. આજે તમામ નેતાઓ કાર્યકરો સાથે રાજકોટ – સૌરાષ્ટ્રના નાગરિકો પર અશ્રુભીની આંખો સાથે તેમના જન નાયકને અંતિમ વિદાય આપશે.