Rajkot,તા.16
અમદાવાદની વિમાની દુર્ઘટનામાં દિવંગત થયેલા રાજયના પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ડી.એન.એ. મેચ થયા બાદ આજે સવારે 11.30 વાગ્યે તેમનો પાર્થિવ દેહ કુટુંબીજનોને સુપ્રત કરાયો હતો ત્યારે કલ્પાંત વચ્ચે સ્વ.રૂપાણીના પરિવારજનો આ પાર્થિવ દેહ સાથે બપોરે રાજકોટ પહોંચ્યા હતા અને આજે પાંચ વાગ્યે તેમની અંતિમયાત્રા યોજાશે.
ગુજરાત સરકારે આજે એક દિવસનો શોક જાહેર કર્યો છે અને રાજય સરકારની તમામ કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે. સ્વ.રૂપાણીની અંતિમ યાત્રા પુર્વે તેમના પાર્થિવદેહને તેમની પ્રકાશ સોસાયટી ખાતેના નિવાસ પાસે અંતિમ દર્શનમાં રખાયો છે.
આજે બપોરે પાંચ વાગ્યે યોજાનારી અંતિમવિધિમાં ભાગ લેવા અને સ્વ.રૂપાણીને અંતિમ વિદાય આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર તથા કેબીનેટના સાથીદારો રાષ્ટ્રીય તથા રાજય ભાજપના અગ્રણીઓ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અને શહેર જીવનના અગ્રણીઓ રાજકોટ પહોંચી રહ્યા છે.
રાજકોટ ખાસ વિમાનમાં પાર્થિવ દેહ લાવ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન અને બાદમાં ત્યાંથી રામનાથ સ્મશાન સુધીની શોભાયાત્રાનો માર્ગ પર ભારે ભીડ ઉમટશે.
રાજકોટ અને સ્વ.વિજયભાઈ રૂપાણીનો સંબંધ જે રીતે પાંચ દશકાનો રહ્યો છે તેથી રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી પણ અગ્રણીઓ રાજકોટ પહોંચ્યા છે અને સૌએ દિવંગતોને શ્રદ્ધાંજલી આપી હતી.
રાજકોટના રાજમાર્ગો પર આ અંતિમયાત્રા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બપોરે 2.30 વાગ્યે પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો હતો અને સ્વ.ને પુરા રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.
આ અંગે વ્યવસ્થા કરવા રાજય સરકારના પણ ઉચ્ચ અધિકારીઓ રાજકોટ પહોંચી ગયા છે અને સમગ્ર વ્યવસ્થા પર તેઓ નજર રાખી રહ્યા છે. સ્વ.રૂપાણીના કેટલાક કુટુંબીજનો ગઈકાલે સાંજે જ રાજકોટ આવી ગયા હતા.
કાલે રાજકોટમાં સ્વ.રૂપાણીની પ્રાર્થનાસભા
ગુરૂવારે ગાંધીનગર તથા શુક્રવારે ભાજપ વડામથક કમલમમાં પણ આયોજન
રાજયના પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા રાજકોટ તથા ગાંધીનગરમાં યોજાશે. આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ પ્રાર્થનાસભા તા.17ના રોજ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં સાંજે 3થી6 વાગ્યા સુધી યોજાશે.
બાદમાં તા.19ના ગુરૂવારે ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ હોલ નં.1 એકઝીબીશન સેન્ટર અને સવારે 9થી12 વાગ્યા સુધી યોજાશે. બાદમાં ભાજપના રાજયના વડામથક કમલમ અને તા.20ના શુક્રવારે ‘કમલમ’ અને બપોરના 4થી6 વાગ્યા સુધી યોજાશે.