Mumbai,તા.17
વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ક્રિકેટના ટી20 અને ટેસ્ટ ફોર્મેટથી નિવૃત્ત થઈ ચુક્યા છે. તે હવે ફક્ત એક દિવસની મેચમાં જ રમશે. એવી અટકળો ચાલી રહી છે કે, વિરાટ અને રોહિત 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવાનું શરૂ રાખી શકે છે. જોકે, રોહિત અને વિરાટ હવે બે ફૉર્મેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે, તો શું તેમને BCCI માંથી મળતો પગાર ઓછો થઈ ગયો હશે? ચાલો જાણીએ BCCI હજુ તેમને કેટલો પગાર આપે છે. BCCIએ આ વર્ષે એપ્રિલમાં 2025-26 સત્ર માટે સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં રાખવામાં આવ્યા હતા. આ ગ્રેડમાં આવનારા ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જણાવી દઈએ કે, ટી20 નિવૃત્તિ છતાં તેમને ગ્રેડ A+ માં રાખવામાં આવ્યા હતા. જોકે, આ ગ્રેડમાં એવા ખેલાડીઓને રાખવામાં આવે છે, જે ત્રણેય ફોર્મેટમાં રમતા હોય. શુભમન ગિલને હાલમાં જ ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ A માં રાખવામાં આવ્યો હતો. આ ગ્રેડ હેઠળ આવનારા ખેલાડીઓને BCCI વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર આપે છે. ગ્રેડ Aમાં આવતા અન્ય ખેલાડીઓ મોહમ્મદ સિરાઝ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને મોહમ્મદ શમી છે. ગ્રેડ Bની વાત કરીએ તો, તેમાં સામેલ ખેલાડીઓને BCCI એક વર્ષમાં 3 કરોડ રૂપિયા આપે છે. આ ગ્રેડમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. વળી, રિન્કુ સિંહ અને શિવમ દુબે સહિત અનેક ખેલાડી ગ્રેડ સીમાં સામેલ છે. ગ્રેડ Cમાં આવતા ખેલાડીઓને BCCI વાર્ષિક 1 કરોડ આપે છે.