Ahmedabad તા.11
અમદાવાદમાં 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રા યોજાનાર છે. આ ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસ વિભાગે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને રૂટની તપાસ માટે બુલેટ માર્ચનું આયોજન કર્યું હતું. જેમાં 100થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો.
જગન્નાથ મંદિર ખાતે સેક્ટર 1ના જેસીપી અને મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવીને બુલેટ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ માર્ચ રાત્રે 10:30 વાગ્યે જગન્નાથ મંદિરથી શરૂ થઈ, જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર,પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા અને માણેકચોક થઈને પરત મંદિરે પહોંચી હતી.
આ રૂટ પર 100 જેટલા બુલેટ બાઈક સાથે પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનોએ પેટ્રોલિંગ કર્યું હતું. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે કહ્યું કે, દેશમાં અલગ અલગ જગ્યાએ ભાગદોડમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે રથયાત્રા 5 દરમ્યાન ભાગદોડ અટકાવવા AI ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે.
જમાલપુર મંદિરથી સરસપુર અને સરસપુરથી નિજ મંદિર સુધી આ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. AI ફિલ્ડમાં સ્ટાર્ટઅપ કરતા યુવકોની મદદ લેવામાં આવશે. વિવિધ CCTV ફૂટેજ તેમજ ડ્રોનથી આ ટેક્નોલોજી કામ કરશે, જે તે સ્થળ CCTV અને ડ્રોનની ફીડથી થર્મલ ઈમેજથી વ્યક્તિઓની ગણતરી થશે, દર્શનાર્થીઓની ભીડ એક જગ્યાએ કેટલી છે તેની ગણતરી કરવા માટે આ ટેક્નોલોજી મદદરૂપ થશે.