Ahmedabad, તા. 20
અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ, કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન મુજબ એરપોર્ટ ઓથોરિટી (AAI) એરપોર્ટના રનવે નજીક આવેલી ઊંચી ઇમારતો અને વૃક્ષોનો સર્વે કરશે.
છેલ્લા ત્રણ વર્ષમાં રન-વે નજીક બનેલી હાઈરાઈઝ બિલ્ડિંગ્સની કાયદેસરતાની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, જે બિલ્ડિંગ્સ અવરોધરૂપ જણાશે તેમને નોટિસ આપવામાં આવશે. ઓથોરિટીની નોટિસ મળ્યાના 60 દિવસની અંદર અવરોધરૂપ ભાગને માલિકે જાતે જ દૂર કરવાનો રહેશે.
જો જરૂર પડશે, તો એરપોર્ટ ઓથોરિટી સીધો જ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર કે પોલીસ કમિશનરનો સંપર્ક કરી શકશે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 333 અવરોધરૂપ બિલ્ડિંગ્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે.
કેન્દ્ર સરકારે બહાર પાડેલા નોટિફિકેશન મુજબ, એરક્રાફ્ટ (ડિમોલેશન ઓફ ઓબ્સ્ટ્રક્શન કોઝ્ડ બાય બિલ્ડિંગ્સ એન્ડ ટ્રીઝ) નિયમો-2025માં સુધારા કરવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું કે, સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ, એરપોર્ટ ઓથોરિટી (AAI) અમદાવાદ એરપોર્ટના રનવેની આસપાસની ઇમારતો અને ઊંચા વૃક્ષોનો સર્વે કરશે.
આ સર્વેમાં જે ઇમારતો અવરોધરૂપ જણાશે, તેમને સીધી એરપોર્ટ ઓથોરિટી જ નોટિસ આપશે. જે બિલ્ડિંગ્સને નોટિસ આપવામાં આવી હોય, તેના માલિકોએ પોતે જ અવરોધરૂપ ભાગ દૂર કરવાનો રહેશે. જો તેઓ તેમ નહીં કરે અને એરપોર્ટ ઓથોરિટીને મદદની જરૂર પડશે, તો તેઓ સીધો જ સ્થાનિક સત્તાધિકારીઓનો સંપર્ક કરશે.
કલેક્ટર કચેરીનો સંપર્ક કરાશે તો, કલેક્ટર કચેરી બિલ્ડિંગ્સ દૂર કરવા માટે કોર્પોરેશન અને પોલીસની મદદ લઈને કાર્યવાહી કરશે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉ કરવામાં આવેલા સર્વે મુજબ, રનવેની આસપાસના વિસ્તારો જેવા કે કોતરપુર, હાંસોલ, કુબેરનગર, મેઘાણીનગર, સરદારનગર, નાના ચિલોડા, અને ગિફ્ટ સિટીમાં અવરોધરૂપ બિલ્ડિંગો આવેલા છે.
આ ઉપરાંત, હાઈ-ટેન્શન લાઈનો, સેલફોન ટાવર, ઓવરહેડ ટાંકીઓ, ચીમનીઓ, અને ફ્લડ લાઈટ માટેના થાંભલાઓનો પણ અવરોધોમાં સમાવેશ થાય છે. જોકે, આ અવરોધોને દૂર કરવા માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.