Bhavnagar તા.૨૩
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો પાયલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતાપૂર્વક ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાયલટોની સજાગતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૫૯, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૨૯ તથા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ૩૨ સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ લોકો પાયલટ શ્રી ચંદન કુમાર (મુખ્યાલયજૂનાગઢ) તથા સહાયક લોકો પાયલટ શ્રી મોહમ્મદ શિબ્લી (મુખ્યાલયજૂનાગઢ) ટ્રેન નં. ૫૨૯૫૫ વેરાવળજૂનાગઢ પેસેન્જરનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન સાસણ ગીરકાંસિયાનેશ રેલખંડમાં કિ.મી. નં. ૧૧૪/૦૨૧૧૪/૦૧ નજીક અચાનક એક સિંહ રેલવે ટ્રેક પર જોવા મળ્યો. પરિસ્થિતિની ગંભીરતા સમજી લોકો પાયલટે તાત્કાલિક સૂઝબૂઝ અને સતર્કતાનો પરિચય આપતાં ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને સુરક્ષિત રીતે રોકી દીધી, જેના કારણે સિંહ સંભવિત અકસ્માતમાંથી બચી ગયો.
ત્યારબાદ લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજર (ગાર્ડ)ને ઘટનાની જાણ કરી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર શ્રી જે. જી. પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને સિંહને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યો. પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ લોકો પાયલટને ટ્રેનને ફરીથી પ્રસ્થાન કરવાની મંજૂરી આપવામાં આવી અને ટ્રેનને સાવચેતીપૂર્વક તેના ગંતવ્ય તરફ રવાના કરવામાં આવી.
આ ઘટનાની જાણ થતાં જ મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક શ્રી ઋત્વિક શર્મા સહિત મંડળના અન્ય અધિકારીઓએ લોકો પાયલટોની સતર્કતા, સંવેદનશીલતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. ભાવનગર મંડળ વન્યજીવ સંરક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને રેલવે તથા વન વિભાગના સંકલિત પ્રયાસોથી એશિયાટિક સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્ય કરતું રહેશે.

