Jamnagar, તા.10
જામનગરમાં જાણીતા મીઠાઈના વેપારીએ શિવ મંદિરની અંદર આપઘાત કરી લેતા વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે. મીઠાઈના વેપારીએ આજે સવારે સિધ્ધનાથ મહાદેવ મંદિર નજીક આવેલ બાલનાથ મંદિરમાં રિવોલ્વરમાંથી લમણામાં ગોળી જીકી દઈ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં ભારે ચકચાર જાગી હતી.
જેને જી.જી. હોસ્પિટલમાં વેપારીએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. 6 માસ પહેલા જ વેપારીના પત્નીનું અવસાન થયુ હતું. જે આઘાતમા વેપારી ગુમસૂમ રહેતા હતા ત્યારબાદ આજે અંતિમ પગલું ભરી લેતા અરેરાટી વ્યાપી છે.
આ મામલે જાણવા મળતી પ્રાથમિક વિગત અનુસાર જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં મોટું નામ ધરાવતા એચ. જે. વ્યાસ મીઠાઈવાલા નામની પેઢીના જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના આશરે 80 વર્ષીય વેપારીએ આજે આપઘાત કરી લીધો છે.
નાગેશ્વર વિસ્તારમાં આવેલ સિધ્ધનાથ મહાદેવ મંદિરથી આગળ આવેલ શનિ મંદિરની સામે આવેલા બાલનાથ મહાદેવ મંદિરમાં લાયસન્સ વાળી રિવોલ્વર વડે પોતાની જાતે લમણામાં ગોળી મારી આપધાતનો પ્રયાસ કર્યો હતો.
ધડાકાનો અવાજ આવતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેને તાબડતો જામનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ખૂબ ગંભીર હોવાથી તેમને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે આઈ.સી.યુ.માં દાખલ કરાયા હતા. જોકે ટુંકી સારવાર કારગત ન નિવડતા તેઓએ હોસ્પીટલના બીછાને આખરી શ્વાસ લીધા છે.
પ્રાથમિક વિગત મુજબ વેપારી જયંતભાઈના પત્ની ઉમાબેનનું આજથી છ માસ પહેલા મોત નીપજ્યું હતું. વાહનના અકસ્માતમાં ઈજા થયા પત્નીએ દમ દોડી દીધો હતો. જેના આઘાતમાં તે ગુમસુમ રહેતા હતા. આ દરમિયાન તેઓએ એક સપ્તાહ માટેની સિધ્ધનાથ મહાદેવ મંદિરની પાસે જ આવેલા બાલનાથ મહાદેવ મંદિરની માનતા પણ રાખી હતી.
આ માંનતાના ભાગરૂપે પ્રતિદિન જયંતભાઈ વ્યાસ રીક્ષા સવાર થઈ દાદાના દર્શનાર્થે જતા હતા. આજે માનતા પુરી કરવાનો અંતિમ દિવસ હતો અને રીક્ષાચાલકને પણ ત્યાંથી જતા રહેવાનું કહ્યું હતું, અને પોતે રોકાયા હતા. બાદમાં મંદિરમાં પોતાની જાતે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. જેને લઇને સમગ્ર શહેરમાં શોક છવાયો છે.
આ મામલે પોલીસને જાણ થતાં સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો બનાવના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, જતા મૃતક જયંતભાઈના પરિજનોના નિવેદન નોંધી અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગી
આપઘાતના આ કેસની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યાં પોલીસને સ્યુસાઇડ નોટ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં જયંતભાઈ વ્યાસે પોતાની પત્નીનું મોત થયા બાદ આઘાત અને પોતાની તબિયત પણ નાંદુરસ્ત રહેતી હોવાનો ઉલ્લેખ કર્યો હોય તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
જો કે સુસાઇડ નોટમાં વધુ કઈ કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મામલે હજુ કોઈ સત્તાવાર સમર્થન સામે આવ્યું નથી. પોલીસ તપાસમાં સમગ્ર વિગત બહાર આવી શકે તેમ છે.