Washington, તા.4
દુનિયાભરમાં ટેરિફ વોર માંડનારા અને ઇરાન પર હુમલા જેવા નિર્ણયોથી અમેરિકામાં જ ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે પોતાના જ દેશના 25 રાજ્યોએ મોરચો ખોલ્યો છે. ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ લાદવા સામે અદાલતમાં કેસ દાખલ કર્યો છે.
આ ટેરિફ ગેરકાયદે ગણાવીને તેના પર તાત્કાલીક અસરથી રોક લગાવવાની માંગ કરી છે. આ કદમથી અમેરિકી પરિવારો તથા વ્યવસાયો પર બોજ વધવાની દલીલ કરવામાં આવી છે.
સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાથી વિપરીત બળજબરીપૂર્વકનો આ ટેક્સ છે. ભારત સહિત 60 દેશો પર 10 થી 12.50 ટકા ટેરિફ જાહેર કરાયાનું ઉલ્લેખનીય છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લાદવામાં આવેલા કામચલાઉ ટેરિફની મુદત પૂરી થઈ રહી હતી ત્યારે આ નવો ટેરિફ અમલમાં આવ્યો હતો.
કેસનું નેતૃત્વ કરી રહેલા ન્યૂયોર્કના એટોર્ની જનરલ લેટિશિયા જેમ્સે જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટમાં કેસ હાર્યા પછી વહીવટીતંત્ર ફરી એકવાર નવા ટેરિફ દ્વારા સામાન્ય પરિવારો અને વ્યવસાયો પર ગેરકાયદેસર કરનો બોજ લાદવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગને વેગ મળશે. આને અનુસરતા ગયા વર્ષે તેમણે 1977 ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નો ઉપયોગ કર્યો અને લગભગ દરેક દેશમાંથી થતી આયાત પર ભારે કર લાદ્યો હતો.
જોકે, આ વર્ષના ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે સરકાર પાસે IEEPA હેઠળ ટેરિફ લાદવાની સત્તા નથી. આ કોર્ટના ચુકાદાથી સરકારને આયાતકારો પાસેથી વસૂલવામાં આવેલા કર પરત કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ સરકારે કામચલાઉ 10 ટકા ટેરિફ લાદ્યો હતો, જે 24 જુલાઈના રોજ મધ્યરાત્રિએ સમાપ્ત થયો હતો.
કામચલાઉ ટેરિફ સમાપ્ત થતાંની સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે 1974ના વેપાર કાયદાની કલમ 301નો ઉપયોગ કરીને 10 થી 12.5 ટકા સુધીના નવા ટેરિફ લાગુ કર્યા. આ કાયદો રાષ્ટ્રપતિને અન્યાયી વેપાર પ્રથાઓમાં સામેલ દેશો પર કર લાદવાની સત્તા આપે છે. આ નવા ટેરિફ એવા દેશોને અસર કરે છે જે અમેરિકન આયાતનો 99 ટકા હિસ્સો ધરાવે છે.
દરમિયાન, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ સરકારના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે બળજબરીથી મજૂરી કરીને બનાવેલી વસ્તુઓ પર પ્રતિબંધ ન મૂકવો અમેરિકન વ્યવસાયો અને કામદારો માટે હાનિકારક છે. તેમણે ઉમેર્યું હતું કે કલમ 301 ટેરિફ સંપૂર્ણપણે કાયદેસર રીતે યોગ્ય અને વાજબી પગલું છે.

