અગાઉ પણ સિંદૂર લગાવવા, દુર્ગા પૂજામાં ભાગ લેવા કે ગણેશોત્સવ ઉજવવા બદલ તેને અનેકવાર ટ્રોલ કરવામાં આવી
Mumbai, તા.૫
તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ નુસરત જહાં અવારનવાર પોતાની પર્સનવ લાઈફ અને ધાર્મિક આસ્થાને કારણે ચર્ચામાં રહે છે. પવિત્ર શ્રાવણ મહિનાના ખાસ અવસર પર નુસરત જહાં પોતાના પતિ અને અભિનેતા યશ દાસગુપ્તા સાથે મધ્યપ્રદેશના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર અને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા પહોંચી હતી. આ ધાર્મિક યાત્રાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ નેટિઝન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે, જેમાં નેટિઝન્સ ભારે ટ્રોલ કરી રહ્યો છે.મધ્યપ્રદેશ પ્રવાસ દરમિયાન નુસરત અને યશે મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર મંદિરમાં ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા. વાયરલ થયેલી તસવીરોમાં નુસરત જહાં પરંપરાગત ભારતીય પોશાકમાં સજ્જ જોવા મળી રહી છે, જ્યાં તેણે પોતાના કપાળ પર ભસ્મ અને ચંદનનો તિલક લગાવ્યો હતો. બંનેએ વિધિવત રીતે બાબા મહાકાલની પૂજા-અર્ચના કરી હતી અને આરતીમાં ભાગ લીધો હતો.એક્ટ્રેસ નુસરત જહાં મુસ્લિમ ધર્મમાંથી આવે છે અને હિન્દુ મંદિરોની મુલાકાત લેવા તેમજ હિન્દુ તહેવારો ઉજવવા બદલ ભૂતકાળમાં પણ કટ્ટરપંથીઓના નિશાના પર રહી ચૂકી છે. આ વખતે પણ શ્રાવણ માસમાં જ્યોતિર્લિંગના દર્શન કરવા પર સોશિયલ મીડિયા યુઝર્સના બે ગ્રુપમાં વહેંચાઈ ગયા છે. કેટલાક કટ્ટરપંથી યુઝર્સે તેના અન્ય ધર્મના મંદિરમાં જઈને પૂજા કરવા પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, નુસરતના ફેન્સ અને સર્વધર્મ સમભાવમાં માનતા લોકોએ તેની આ આસ્થાની પ્રશંસા કરી હતી. ચાહકોનું કહેવું છે કે ભક્તિ અને આસ્થા કોઈ ધર્મની સીમાઓમાં બંધાયેલી નથી હોતી.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલી વખત નથી કે જ્યારે નુસરત જહાં પોતાના ધાર્મિક આચરણને કારણે ચર્ચામાં આવી હોય. સિંદૂર લગાવવા, દુર્ગા પૂજામાં ભાગ લેવા કે ગણેશોત્સવ ઉજવવા બદલ તેને અનેકવાર ટ્રોલ કરવામાં આવી છે. જોકે, નુસરતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે તે તમામ ધર્મોનો આદર કરે છે અને માનવતા જ તેનો સૌથી મોટો ધર્મ છે.

