Narmada,તા.૧૨
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીનના હકનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાલુકાના ખોપી, હલ ગામ, પાડી સહિત આશરે ૧૨ ગામોના આદિવાસી ખેડૂતો દ્વારા જંગલ જમીનના હક માટે છેલ્લા કેટલાક દિવસોથી ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તા.૧૨ ઓગસ્ટે આ આંદોલન પાંચમા દિવસે પણ યથાવત રહ્યું છે
સાગબારા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતો અને આદિવાસી આગેવાનો ધરણાં સ્થળેથી હટ્યા નથી. જંગલ જમીન પર ખેતી કરવાનો હક અને પોતાના હક્કોની માંગ સાથે તેઓ અહિંસક રીતે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ અંગે યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણાં ચાલુ રાખવામાં આવશે.
મહિલા આગેવાન અને સામાજિક કાર્યકર લીલાબેન વસાવાની આગેવાની હેઠળ સાગબારા તાલુકાના ખેડૂતો છેલ્લા એક મહિનાથી જંગલ જમીનના મુદ્દે સંઘર્ષ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. સમય જતાં આ મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ વિસ્તરી રહ્યું છે અને હવે ૧૨ જેટલા ગામોના ખેડૂતો તેમાં જોડાયા છે.
તા.૧૧ ઓગસ્ટે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ ખેડૂતોના ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી અને જંગલ જમીનના મુદ્દે ચાલી રહેલા આંદોલનને પોતાનું સમર્થન આપ્યું હતું.ધારાસભ્યના ધરણાંમાં જોડાવાથી આ મુદ્દાને રાજકીય સમર્થન પણ મળ્યું છે
દરમિયાન દિલ્હી ખાતે સંસદસત્ર પૂર્ણ થયા બાદ સાંસદ મનસુખ વસાવા પણ ખેડૂતોના ધરણાંમાં જોડાશે તેવી માહિતી સામે આવી છે. જો સાંસદ પણ આંદોલન સ્થળે પહોંચશે તો જંગલ જમીનનો મુદ્દો વધુ મહત્વનો બની શકે છે.
હાલ આદિવાસી ખેડૂતો સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ જંગલ જમીન પર ખેતી કરવાનો હક અને જમીન અંગેના તેમના હક્કોને માન્યતા આપવાની છે.વરસાદ વચ્ચે પણ આંદોલન ચાલુ રાખીને ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે તેઓ પોતાની માંગ અંગે અંત સુધી લડત ચાલુ રાખવા માટે તૈયાર છે. હવે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.

