ફિટ ઈન્ડિયા, ખેલ મહાકુંભ અને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાન દ્વારા રમતગમત તેમજ ફિટનેસને જનઆંદોલન બનાવતી સરકાર
આલેખન ભાવિકા લીંબાસીયા
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર
ભારતમાં દર વર્ષે ૨૯ ઑગસ્ટે હોકીના જાદુગર તરીકે ખ્યાતિપ્રાપ્ત દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. રમતગમતની પ્રવૃત્તિ એ શારીરિક કસરત કે મનોરંજન પૂરતી સીમિત ન રહેતાં યુવાનોમાં શિસ્ત, માનસિક સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ, નેતૃત્વ અને ટીમભાવના જેવા ગુણો કેળવવાનું એક ઉત્કૃષ્ટ માધ્યમ બની ચૂકી છે. વર્તમાન સમયમાં ખેલકૂદ શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી નિર્માણનું મહત્વપૂર્ણ ક્ષેત્ર બન્યું છે, ત્યારે આ ખાસ દિવસ નાગરિકોમાં ખેલભાવના કેળવવાનો અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો એક શ્રેષ્ઠ અવસર પૂરો પાડે છે.
રમતગમત ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ જેવી ક્રાંતિકારી પહેલો શરૂ કરી છે. આ પહેલો દ્વારા દેશના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી છુપાયેલી પ્રતિભાઓને શોધીને તેમને યોગ્ય તાલીમ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ જ ખેલ સંસ્કૃતિનો પ્રારંભ રાજ્ય સ્તરે વર્ષ ૨૦૧૦માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેલ મહાકુંભથી કરવામાં આવ્યો હતો. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે શરૂ થયેલા આ રમતોત્સવે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લાથી લઈને રાજ્ય કક્ષા સુધી તમામ વયજૂથના નાગરિકોને એક મંચ પર લાવીને નવી ઊર્જાનો સંચાર કર્યો છે.
આજના આધુનિક યુગમાં બદલાતી જીવનશૈલીના કારણે મેદસ્વિતા એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ કર્યો છે. નાગરિકો રમતગમત, કસરત, યોગ-પ્રાણાયામ અને સંતુલિત આહાર અપનાવીને નિરોગી રહે તેવા હેતુથી આ અભિયાનને એક વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. નિરોગી અને ફિટ શરીર જ ઉત્કૃષ્ટ રમતવીરનું નિર્માણ કરી શકે છે, તેવા વિચાર સાથે રમતગમતના માળખાની સાથે શારીરિક સુખાકારી અને મેદસ્વિતા મુક્તિ સાથે સુસ્વાસ્થ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ઉભરતા ખેલાડીઓને સ્પર્ધાનું મંચ પૂરૂં પાડવાની સાથે યોગ્ય આર્થિક અને માળખાકીય સહાય પૂરી પાડવા માટે પણ અનેક યોજનાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. શક્તિદૂત યોજના દ્વારા પ્રતિભાશાળી ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ, પૌષ્ટિક આહાર, આધુનિક સાધનો અને પ્રવાસો માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમતોમાં આગળ વધી શકે તે માટે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્ર્સ સ્કૂલ () દ્વારા જિલ્લા કક્ષાએ વિશ્વસનીય કોચિંગ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમજ રમતગમતમાં ઉચ્ચ શિક્ષણ અને સ્પોટ્ર્સ સાયન્સમાં સંશોધન માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોટ્ર્સ યુનિવર્સિટી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
માળખાકીય સુવિધાઓના આ જ વિકાસ મોડેલને આગળ ધપાવતાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કેરાળા ખાતે શક્તિદૂત યોજના ૩.૦ અંતર્ગત રૂ. ૧૮.૪૫ કરોડના ખર્ચે આધુનિક જિલ્લા રમતગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલ સ્થાનિક પ્રતિભાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમનું નવું કેન્દ્ર બનશે. સંકુલમાં સંપૂર્ણ વાતાનુકૂલિત ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં બેડમિંતન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જિમ્નેશિયમ, શૂટિંગ રેન્જ અને વિવિધ બોર્ડ ગેમ્સ માટેની સગવડો છે. આ સાથે વોલીબોલ, કબડ્ડી અને ખો-ખો જેવી દેશી અને આઉટડોર રમતો માટે પણ સુવ્યવસ્થિત મેદાનો તૈયાર કરાયા છે. ખેલાડીઓની સુરક્ષા અને સુવિધા માટે લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, મહિલા-પુરુષ શૌચાલય, ફાયર સેફ્ટી, સીસીટીવી અને વિશાળ પાર્કિંગ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
રાજ્ય સરકારની રમતલક્ષી નીતિઓ અને સુદ્રઢ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું જ પરિણામ છે કે વર્ષ ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ ભારત અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદને મળ્યું છે. વૈશ્વિક કક્ષાની આ બહુવિધ રમત સ્પર્ધાનું આયોજન એ વાતની સાબિતી છે કે ગુજરાતનું રમતગમત માળખું હવે આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માટે સંપૂર્ણપણે સક્ષમ બની ચૂક્યું છે. ખેલ મહાકુંભ અને ફિટનેસ અભિયાનોથી શરૂ થયેલી આ રમતીય જ્યોત આજે આધુનિક સ્પોટ્ર્સ સંકુલોના નિર્માણથી વધુ પ્રકાશિત થઈ છે.
રમશે ભારત, ખીલશે ભારત અને સ્વસ્થ ભારતની ભાવના સાથે સ્થાનિક સ્તરે આધુનિક તાલીમ મેળવી રહેલા આપણા ખેલાડીઓ આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા મહાકુંભમાં ત્રિરંગો લહેરાવીને દેશ અને રાજ્યનું નામ વિશ્વપટલ પર રોશન કરશે તેમાં કોઈ શંકા નથી.

