૮ મહિનામાં ૯,૮૯૯ કોલ, માત્ર ૧૦-૧૧ મિનિટમાં પહોંચે છે PCR વાન
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૫ઃ
અમરેલી જિલ્લામાં નાગરિકોની તાત્કાલિક મદદ માટે ૧૧૨ ઈમરજન્સી સેવા ૨૪ કલાક કાર્યરત છે. ૧૧૨ સેવા માત્ર પોલીસની મદદ પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર જેવી વિવિધ ઈમરજન્સી સેવાઓનો લાભ પણ નાગરિકો લઈ શકે છે. અમરેલી જિલ્લામાં ૧૧૨ની અંદાજે ૩૨ ઈમરજન્સી વાન અલગ-અલગ પોઇન્ટ પર કાર્યરત છે.
આ સેવાનો ઉપયોગ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. અકસ્માત, જાહેર સ્થળે મારામારી, ઝઘડો અથવા અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બનતી હોય ત્યારે ઘટના સ્થળે હાજર વ્યક્તિ પણ ૧૧૨ પર કોલ કરીને જાણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે, માત્ર માહિતી આપનાર વ્યક્તિને પોલીસ દ્વારા ફરિયાદી તરીકે ગણવામાં આવતી નથી. સામાન્ય રીતે માત્ર કોલ કરનાર હોવાના કારણે તેનું નિવેદન લેવામાં આવતું નથી કે, તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતો નથી.
અમરેલી જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવામાં દરરોજ ૪૦થી વધુ કોલ આવતાં હોવાનું પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે. ગત ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં કુલ ૧,૨૨૯ કોલ પ્રાપ્ત થયા હતા. જ્યારે જાન્યુઆરીથી ઓગસ્ટ-૨૬ સુધીના આઠ મહિનામાં કુલ ૯,૮૯૯ કોલ ૧૧૨ ઈમરજન્સી સેવાને મળ્યા હતા. આ કોલમાં સૌથી વધુ સામાન્ય ઝઘડા અને મારામારીના બનાવો તેમજ પ્રોહિબિશન સંબંધિત કેસો જોવા મળ્યા છે.
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, ૧૧૨ ઈમરજન્સી સેવાનો લાભ કોઈપણ નાગરિક લઈ શકે છે. અમરેલી જિલ્લામાં ૧૧૨ની ૩૨ જેટલી વાન ૨૪ કલાક કાર્યરત રહે છે અને અલગ-અલગ સ્થળોએ પોઇન્ટ ફાળવવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ઈમરજન્સી સ્થિતિમાં નાગરિકોને ઝડપથી મદદ મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે.
૧૧૨ પર કોલ કર્યા બાદ કોલ સેન્ટર તરફથી મળેલી માહિતીના આધારે નજીકની ઙઈછ ઈમરજન્સી વાનને જાણ કરવામાં આવે છે. કોલ કરનાર વ્યક્તિનું ૠઙજ લોકેશન પણ સિસ્ટમ દ્વારા મેળવવામાં આવે છે. સામાન્ય રીતે કોલ કર્યા બાદ આશરે એક મિનિટમાં ૧૧૨ ઙઈછ વાન તરફથી કોલ કરનાર વ્યક્તિનો સંપર્ક કરવામાં આવે છે. આ દરમિયાન વ્યક્તિ કઈ જગ્યાએ છે તેની પુષ્ટિ કરવામાં આવે છે અને જરૂર પડે તો ચોક્કસ સ્થળની માહિતી પણ લેવામાં આવે છે.
ત્યાર બાદ શક્ય તેટલા ઓછા સમયમાં, સામાન્ય રીતે ૧૦થી ૧૧ મિનિટમાં ૧૧૨ ઙઈછ વાન ઘટના સ્થળે પહોંચે છે. ઘટનાની ગંભીરતા અને પરિસ્થિતિ પ્રમાણે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે. જો જાહેર સ્થળે મારામારી કે અન્ય બનાવ બન્યો હોય તો બંને પક્ષના લોકોને નજીકના પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ પોલીસને સોંપવામાં આવી શકે છે. પરંતુ માત્ર ઘટના અંગે ૧૧૨ને જાણ કરનાર વ્યક્તિને પોલીસ સ્ટેશન લઈ જવાની ફરજિયાત પ્રક્રિયા નથી. આ રીતે ૧૧૨ સેવા માત્ર પોલીસને બોલાવવાનો નંબર નહીં, પરંતુ મુશ્કેલીના સમયે નાગરિકોને ઝડપી મદદ પહોંચાડતી ઈમરજન્સી વ્યવસ્થા છે. કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે પોતે જોખમ લીધા વિના ૧૧૨ પર જાણ કરવી નાગરિકની જવાબદારીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

