New Delhi,તા.25
નવરાત્રિના પહેલા દિવસે (22 સપ્ટેમ્બર) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 1 લાખ રૂપિયાની ખરીદી પરનો કર લગભગ રૂ. 25,000 હતો, જે હવે ઘટાડી રૂ. 5000-6000 કરવામાં આવ્યો છે.
ગુરુવારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST ઘટાડો અને તેનાથી થતી બચત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં ઘટાડાનો સંકેત આપતા કહ્યું, ‘આજે દેશ GST બચત મહોત્સવ ઉજવી રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું કે આપણે અહીં અટકવાના નથી. 2017માં અમે GST રજૂ કર્યું અને આર્થિક મજબૂતી સાથે કામગીરી કરી. અમે 2025માં તેને ફરીથી સ્થાપિત કરીશું અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવીશું. જેમ જેમ અર્થતંત્ર મજબૂત થશે તેમ તેમ કરનો બોજ ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી, GST સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.’પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, 2014 પહેલાં ઘણા બધા ટેક્સ લાગુ હતા. તે દેશની ટેક્સ પ્રણાલીને મૂંઝવણભરી બનાવતા હતા. જેના કારણે વ્યવસાયિક ખર્ચ અને કૌટુંબિક બજેટ ક્યારેય સંતુલિત થઈ શક્યા નહીં. રૂ. 1,000ની કિંમતના શર્ટ પર રૂ. 117 ટેક્સ લાગતો હતો. 2017માં GST લાગુ થયા બાદ આ ટેક્સ રૂ. 170થી ઘટી રૂ. 50 થયો છે. જે હવે 22 સપ્ટેમ્બર પછી, તે જ શર્ટ પર ફક્ત રૂ. 35 જીએસટી લાગુ થશે. 2014માં જો કોઈ ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ વગેરે પર રૂ. 100 ખર્ચ કરે છે, તો તેના પર 31 રૂપિયા ટેક્સ ચૂકવતો હતો. 2017માં ટેક્સ ઘટી રૂ. 18 થયો હતો. હવે તે જ વસ્તુની કિંમત રૂ. 131થી ઘટી રૂ. 105 થઈ છે.પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 70,000થી વધુ ટેક્સ લાગતો હતો. હવે તે જ ટ્રેક્ટર પર ફક્ત રૂ. 30,000 ટેક્સ લાગુ થાય છે. ખેડૂતો ટ્રેક્ટર પર રૂ. 40,000 બચાવી રહ્યા છે. થ્રી-વ્હીલર વાહનો પર પહેલા રૂ. 55,000નો ટેક્સ લાગતો હતો, પરંતુ હવે તે જ ટ્રેક્ટર પર GST ઘટી રૂ. 35,000 થયો છે. જેનાથી સીધી રૂ. 20,000ની બચત થાય છે. GST ઓછા થવાને કારણે, સ્કૂટર રૂ. 8,000 અને મોટરસાયકલ રૂ. 9,000 સસ્તી થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ તમામને લાભ થયો છે.પીએમ મોદીએ કર મુક્તિઓનું વિગતવાર વર્ણન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2014 પહેલાં સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જનતા સમક્ષ જૂઠું બોલી રહ્યા છે. સત્ય એ છે કે કોંગ્રેસ સરકાર દરમિયાન, ટેક્સ લૂંટ થઈ હતી. સામાન્ય નાગરિક ટેક્સના બોજા હેઠળ દબાયો હતો. અમારી સરકારે ટેક્સ અને મોંઘવારીમાં ઘટાડો કર્યો છે. અમે દેશના લોકોની આવક અને બચતમાં વધારો કર્યો છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, 2 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ હતી, પરંતુ આજે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ છે. આવકવેરા અને GST મુક્તિથી લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.