New Delhi,તા.03
સરકારે તાજેતરમાં કરેલાં જીએસટી સુધારાની અસર હવે વીમા ક્ષેત્રમાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. રિયલ એસ્ટેટ, ઓટો અને એમએસએમઈની જેમ હવે વીમા ઉદ્યોગને પણ મોટી રાહત મળી છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પર જીએસટી નાબૂદ થયાં બાદ વીમા યોજનાઓમાં લોકોની ચિ ઝડપથી વધી છે. પોલિસીબજારના એક રિપોર્ટ મુજબ હેલ્થ ઇન્શ્યોરન્સ કવરેજની માંગમાં 38 ટકાનો વધારો થયો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીએસટી હટાવ્યા બાદ લોકો હવે વધુ કવરેજ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવાનું પસંદ કરી રહ્યાં છે. અગાઉ જ્યાં સરેરાશ વીમા કવરેજ 13 લાખ હતું, તે હવે વધીને 18 લાખ થઈ ગયું છે. એટલે કે, ગ્રાહકો હવે ન્યૂનતમ સુરક્ષાને બદલે સંપૂર્ણ નાણાકીય સુરક્ષાને પ્રાથમિકતા આપી રહ્યાં છે.
જીએસટી શૂન્ય થયા પછી, લોકો હવે પહેલાથી અસ્તિત્વમાં રહેલાં રોગો અને ગંભીર બીમારીઓ માટે પહેલાં દિવસથી જ એડ-ઓન કવરેજની પસંદગી કરી રહ્યાં છે. આ બતાવે છે કે ખરીદદારો હવે એવા પેકેજ તરફ ઝુકાવ બતાવી રહ્યાં છે જે ફક્ત મૂળભૂત આરોગ્ય યોજના જ નહીં, સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે.
નાના શહેરો અને વૃદ્ધોમાં જાગૃતિમાં વધારો
15-25 લાખ કવરેજ સાથેની યોજનાઓનો હિસ્સો ટિઅર-2 શહેરોના લોકોમાં 44.1 ટકાથી વધીને 48.6 ટકા થયો છે. તે જ સમયે, 10 લાખથી ઓછા કવરેજ સાથેની યોજનાઓનો હિસ્સો ઘટીને 16.8 ટકા થયો છે. 61 થી 75 વર્ષ કે તેથી વધુ વયનાં લોકોમાં ઉચ્ચ કવરેજ યોજનાઓની માંગમાં 11.54 ટકાનો વધારો થયો છે.
નવો નિયમ 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવ્યો હતો
કેન્દ્ર સરકારે 22મી સપ્ટેમ્બર 2025થી આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરનો GST સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. વીમા યોજનાઓને સામાન્ય ગ્રાહકો માટે સુલભ અને સસ્તી બનાવવા માટે દર તર્કસંગતીકરણની પ્રક્રિયાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લોકોને તેમનાં વીમા પ્રીમિયમ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી.
આ યોજનાઓ વધુ લોકપ્રિય બની રહી
જીએસટી મુક્તિ બાદ 45 ટકા ગ્રાહકો હવે 15 થી 25 લાખનાં કવરેજવાળા પ્લાનની પસંદગી કરી રહ્યાં છે. લગભગ 24 ટકા લોકો 10-15 લાખ રૂપિયાની મર્યાદાવાળા પ્લાનની પસંદગી કરી રહ્યાં છે, જ્યારે ફક્ત 18 ટકા ગ્રાહકો 10 લાખ રૂપિયાથી ઓછા કવરેજવાળા વિકલ્પો પસંદ કરી રહ્યાં છે.

