Islamabad,તા.૨૦
પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસીમ મુનીરે ફરી એકવાર ભારતને ધમકી આપી છે. ફરી એકવાર, આસીમ મુનીરે ખોટા દાવા કર્યા અને પાકિસ્તાની સેનાની પ્રશંસા કરી. તેમણે જોર્ડનના રાજા અબ્દુલ્લા-૨ ની સામે માત્ર પોતાની સેનાની પ્રશંસા જ નહીં, પણ ભારતને પણ ધમકી આપી. મુનીરે જણાવ્યું હતું કે પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, અને જ્યારે કોઈ મુસ્લિમ અલ્લાહમાં ભરોસો રાખે છે, ત્યારે દુશ્મન પર ફેંકવામાં આવેલી માટી પણ મિસાઈલમાં ફેરવાઈ જાય છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ ફરીથી પાકિસ્તાન પર યુદ્ધ લાદવાનો પ્રયાસ કરશે, તો તેનો સખત જવાબ આપવામાં આવશે.
પાકિસ્તાની અખબાર ડેઈલી જંગના અહેવાલ મુજબ જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાના સન્માનમાં ભોજન સમારંભમાં હાજરી આપી રહેલા અસીમ મુનીરે મે મહિનામાં ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો અને સંઘર્ષમાં પાકિસ્તાન માટે ખોટો વિજયનો દાવો કર્યો હતો, અને કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ ભારતીય હુમલાઓનો સખત પ્રતિકાર કર્યો હતો અને યોગ્ય જવાબ આપ્યો હતો.
અસીમ મુનીરે કહ્યું હતું કે, “ભારત સાથેના યુદ્ધ દરમિયાન અલ્લાહે અમને અમારા માથા ઊંચા રાખવામાં મદદ કરી હતી, અને તેથી જ જ્યારે કોઈ મુસ્લિમ તેના અલ્લાહમાં ભરોસો રાખે છે, ત્યારે દુશ્મન પર ફેંકવામાં આવેલી ધૂળ મિસાઈલમાં ફેરવાઈ જાય છે.” મુનીરે ઉમેર્યું, “અમે અલ્લાહના આદેશ મુજબ અમારી ફરજો બજાવીએ છીએ, અને અલ્લાહની મદદથી જ પાકિસ્તાને તેના દુશ્મન સામે લડત આપી છે. પાકિસ્તાની સેના અલ્લાહની સેના છે, અને અમારા સૈનિકો અલ્લાહના નામે દુશ્મન સામે લડે છે.”
અસીમ મુનીરે જોર્ડન સાથે પાકિસ્તાનના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. તેમણે પાકિસ્તાનને લશ્કરી સહયોગ વધારવા અને શાંતિપૂર્ણ ક્ષેત્રના પરસ્પર વિઝનને સંયુક્ત રીતે સાકાર કરવા માટે તમામ પગલાં લેવાની ખાતરી આપી. જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાએ તેમના પ્રતિનિધિમંડળ સાથે બે દિવસ માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવાનો છે.

