New Delhi,તા.27
નીતિન ગડકરી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતના નેશનલ હાઇવે એનએચ પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં બેઠક યોજાઇ
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતના નેશનલ હાઇવે પ્રોજેક્ટ અને પ્રગતિ હેઠળની કામગીરી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે.રાજ્યમાં હાઈવેઝ પર ૩૫ ટકાથી વધુનુ વાહન ભારણ રહે છે ત્યારે હાઈવેઝની યોગ્ય મરામત અને જરૂર જણાયે વિસ્તૃતિ કરણના કામો એનએચએઆઇ દ્વારા થતા રહેઃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ કર્યો કે, નેશનલ હાઈવે પર રાજ્યમાં ૩૫ ટકાથી વધુનું ભારણ રહે છે એ સંદર્ભમાં આ હાઈવેઝની યોગ્ય મરામત થતી રહે અને જરૂર જણાયે વિસ્તૃતિકરણના કામો પણ એનએચએઆઇ કરતી રહે. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ -ગોંડલ- જેતપુર, અમદાવાદ-ઉદેપૂર આ ત્રણ માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવા પણ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રિય મંત્રી ગડકરીને કરેલી રજૂઆત અંગે ત્વરિત પ્રતિસાદ આપતા નીતિન ગડકરીએ ગુજરાતમાં એનએચએઆઇ હેઠળના હાઈવે સહિતના અન્ય પ્રોજેક્ટ માટે રૂ.૨૦ હજાર કરોડ કેન્દ્ર સરકાર તરફથી મંજૂર કરવાની ખાતરી આ બેઠકમાં આપી હતી. અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ-જેતપુર, અમદાવાદ-ઉદયપુર માર્ગોના પ્રગતિ હેઠળના કામો ઝડપથી પુરા કરાવવા કેન્દ્રીય મંત્રીને મુખ્યમંત્રીની રજૂઆત કરાઇ હતી
નેશનલ હાઈવે આથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરી અને આગામી સમયમાં એનએચએઆઇ અને મીનીસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા હાથ ધરાનારા વિવિધ પ્રોજેક્ટ્સ અંગે પણ આ બેઠકમાં પ્રેઝન્ટેશન કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં આવેલા વિવિધ નેશનલ હાઈવેની વર્તમાન સ્થિતિ, રોડના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવાના હતા, હાલમાં બાકીના કામો ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ એમ.કે. દાસે ગુજરાત સરકાર દ્વારા હાઈવેઝ અને માર્ગોની થઈ રહેલી કામગીરી અને કેન્દ્ર સરકાર સાથેના સંકલનની વિગતો આપી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા, સલાહકાર એસ.એસ. રાઠૌર, અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવો તથા મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના માર્ગ વિભાગ હેઠળ નેશનલ હાઇવે ડિવિઝન સહિત સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

