Mehsana,તા.૧૮
મહેસાણાના કડી તાલુકાના વડાવી ગામમાં આવેલા તરસનીયા પરામાં વર્ષોથી વસતા ઠાકોર અને રબારી જ્ઞાતિના લોકોની જમીન વેચાણના દસ્તાવેજ થઈ જતાં વિવાદ સર્જાયો છે. સર્વે નંબર ૩૩૩ની જમીનમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, ટ્યુબવેલ અને મહાદેવ મંદિર સહિતની સુવિધાઓ આવેલી છે,તેમ છતાં આ જમીનનો વેચાણ દસ્તાવેજ અમદાવાદના બિલ્ડર મિલનભાઈ પટેલના નામે થયો હોવાનું સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.આશરે ૫૦૦ની વસ્તી ધરાવતા તરસનીયા પરામાં ઠાકોર અને રબારી જ્ઞાતિના લોકો વર્ષોથી વસવાટ કરે છે.
અહીં ૧૯૭૮માં સ્થપાયેલી તરસનીયા પ્રાથમિક શાળામાં ગામના ૨૮૯ મતદારો મતદાન કરે છે. શાળા ઉપરાંત આંગણવાડી અને મંદિર પણ આ જમીન પર આવેલા છે. વર્ષ ૧૯૭૬માં મામલતદાર કચેરી દ્વારા ગણોતીયા અંગેની નોંધ બીનઅમલી કરાતાં મૂળ ખેડૂત માલિકોનો હક યથાવત રહ્યો હતો. તેના આધારે આ જમીનમાં બે વખત વારસાઈ નોંધ પણ પાડવામાં આવી છે અને તત્કાલીન મામલતદાર તેમજ પ્રાંત અધિકારીએ યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.
જોકે, ગત ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મિલન પટેલે ખેડૂતો પાસેથી જમીન વેચાણના નામે દસ્તાવેજ કડીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં કરાવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, સર્વે નંબર ૩૩૩ની આ જમીન પર તરસનીયા પરું વસેલું છે અને તેમાં પ્રાથમિક શાળા તથા આંગણવાડી કાર્યરત છે. આ હકીકત સામે આવતાં પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ ઠાકોરે તાત્કાલિક વાંધા અરજી કરી હતી. તેમણે કડી મામલતદાર, સબ રજિસ્ટ્રાર, ટીડીઓ અને પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓને અરજી કરીને દસ્તાવેજ સામે વાંધો ઉઠાવ્યો હતો.આચાર્યની અરજીથી તંત્ર દોડતું થયું છે અને જમીન વેચાણની તપાસ શરૂ કરવામાં આવી છે.

