New Delhi,તા.20
ભારતીય રેલવે દ્વારા ટિકિટના નિયમોમાં ફરી બદલાવ કરવામાં આવ્યો છે. આધાર લિંક વગર ટિકિટ બુકિંગ કરવામાં હવે યુઝર્સને વધુ તકલીફ પડશે. IRCTC દ્વારા હવે દરેક યુઝર્સ માટે આધાર લિંક કરવાનું ફરજિયાત કરી દીધું છે. પહેલાં બુકિંગ ઓપન થાય ત્યારે આધાર કાર્ડ લિંક હોય એમને પહેલાં તક આપવામાં આવતી હતી. બપોર બાદ આધાર કાર્ડ લિંક ન હોય એ વ્યક્તિ બુક કરી શકતા હતા. જોકે હવે એમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.
29 ડિસેમ્બરથી ફક્ત આધાર કાર્ડ લિંક હોય એવા યુઝર્સ સવારે 8 વાગ્યાથી લઈને બપોર સુધી બુકિંગ કરી શકશે. જોકે ત્યાર બાદ પાંચમી જાન્યુઆરીથી સવારે 8 વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી ફક્ત આધાર કાર્ડ લિંક યુઝર્સ જ બુકિંગ કરી શકશે. આ ટાઇમ હવે 12 જાન્યુઆરીથી સવારેથી લઈને મધરાત સુધી કરી નાખવામાં આવ્યો છે. આથી દિવસ દરમ્યાન ફક્ત આધાર કાર્ડ લિંક હોય એ જ યુઝર્સ બુકિંગ કરી શકશે.IRCTC દ્વારા આ નિયમને અલગ-અલગ ફેઝમાં રજૂ કરવામાં આવ્યા છે. આથી યુઝર્સ ધીમે ધીમે તેમના આધાર કાર્ડને લિંક કરે. તેમ જ આધાર કાર્ડ લિંક હોય એ જેન્યુન કસ્ટમરને ટિકિટ મળી રહે અને બોગસ બુકિંગ કરનારને એનાથી વંચિત રાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. આથી દરેકને ટિકિટ મળી રહે એવો IRCTC દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન રિઝર્વેશન સિસ્ટમ ખૂબ જ પ્રામાણિક રીતે કામ કરે એટલે કે ટ્રાવેલ એજન્ટ બલ્કમાં બુકિંગ ન કરે એ હેતુથી તમામ નિયમ બનાવવામાં આવ્યા છે.

