New Delhiતા.૯
૨૬/૧૧ના મુંબઈ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ અને આરોપી તહવ્વુર રાણાને આજે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને ૬ જૂન, ૨૦૨૫ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. રાણાને તાજેતરમાં અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો.
કોર્ટે પોતાના આદેશમાં એનઆઇએને દર ૨૪ કલાકે રાણાની તબીબી તપાસ કરાવવાનો અને તેમને દર બીજા દિવસે તેમના વકીલને મળવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો. રાણાને એનઆઇએ મુખ્યાલયમાં એક ઉચ્ચ સુરક્ષા સેલમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેમના પર ૨૪ કલાક સીસીટીવી અને સુરક્ષા કર્મચારીઓની નજર રહે છે. એનઆઇએ પૂછપરછ દરમિયાન, રાણાને તેના પાકિસ્તાની હેન્ડલર્સ, ભંડોળના સ્ત્રોતો અને સંભવિત સ્લીપર સેલ નેટવર્ક વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીને શંકા છે કે રાણાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે પણ ઊંડા સંબંધો હતા.એનઆઇએએ કોર્ટને કહ્યું કે જો તેને તપાસ માટે વધુ સમય મળે તો આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે.
તહવ્વુર રાણાની હાજરી દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, કેસ સાથે સંકળાયેલા અધિકારીઓ અને વકીલો જ કોર્ટરૂમમાં પ્રવેશ્યા. જ્યારે મીડિયા કર્મચારીઓને પણ કોર્ટરૂમની બહાર રાખવામાં આવ્યા હતા. રાણાને બપોરે ૨ વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેમનો ચહેરો ઢાંકેલો હતો.
મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. રાણા સાથે દિલ્હી પહોંચેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીની ખાસ ટીમમાં ત્રણ અધિકારીઓએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાણાને અમેરિકાથી ભારત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓમાં ૧૯૯૭ બેચના ઝારખંડ કેડરના આઇપીએસ આશિષ બત્રા, છત્તીસગઢ કેડરના આઇપીએસ અધિકારી પ્રભાત કુમાર ઉપરાંત ઝારખંડ કેડરના મહિલા આઇપીએસ જયા રોયનો સમાવેશ થાય છે. યુએસ સુપ્રીમ કોર્ટે ૨૦૨૩ માં તેમના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી, જેને આખરે ફેબ્રુઆરી ૨૦૨૫ માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
૨૬/૧૧ ના મુંબઈ હુમલામાં ૧૭૪ લોકો માર્યા ગયા હતા અને ૩૦૦ થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. રાણા પર આ હુમલાનું કાવતરું ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો આરોપ છે. ૨૦૧૧ માં ભારતીય અદાલતે તેમને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ અમેરિકામાં હતા. ૨૦૦૯ માં તેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી, અને ત્યારથી તે પ્રત્યાર્પણ સામે કાનૂની લડાઈ લડી રહ્યો છે.
તહવ્વુર હુસૈન રાણા એક પાકિસ્તાની-કેનેડિયન નાગરિક છે જે અગાઉ પાકિસ્તાન આર્મીમાં ડૉક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ ૧૯૯૦ના દાયકામાં કેનેડા ગયા અને ૨૦૦૧માં કેનેડિયન નાગરિકતા મેળવી. બાદમાં તેઓ શિકાગોમાં સ્થાયી થયા, જ્યાં તેમણે ઇમિગ્રેશન કન્સલ્ટન્સી સહિત અનેક વ્યવસાયો શરૂ કર્યા. રાણા પર લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હોવાનો અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે.