New Delhi, તા.08
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી.નડ્ડા હાજર રહ્યા હતાં. તમામ પક્ષના નેતાઓએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કામગીરીને બિરદાવી વખાણ કર્યા હતા.
જ્યારે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી, કોંગ્રેસ પ્રમુખ ખડગે બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બેઠકમાં તમામ રાજકીય પક્ષોના નેતાઓને ઓપરેશન સિંદૂર અંગેની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં પાકિસ્તાન અને POKમાં નવ આતંકી ઠેકાણે એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઓપરેશન સિંદૂર બાદ આગામી રણનીતિ તેમજ સેનાના શોર્ય અને પરાક્રમને બિરદાવવા માટે તમામ રાજકીય પક્ષોની બેઠક યોજાઈ છે. આ અંગે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી.
કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, સંસદ પુસ્તકાલય ભવન, સંસદ પરિસરના સમિતિ રૂમ જી-074માં સવારે 11 વાગ્યે તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સામેલ થશે. રાજનાથ સિંહ આ બેઠકનું નેતૃત્વ કરશે અને તમામ પક્ષોને ઓપરેશન સિંદૂરની સાથે ભવિષ્યની તૈયારીઓ સંદર્ભે માહિતી આપશે.
ઓપરેશન સિંદૂર બાદ યોજાયેલી તમામ રાજકીય પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાય તેવી માગ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વડાપ્રધાને પણ ભાગ લેવો જોઈએ. 24 એપ્રિલના રોજ વડાપ્રધાને તમામ પક્ષોને બેઠકમાં સામેલ થવા અપીલ કરી હતી. ત્યારે તેઓ બેઠકમાં હાજર રહ્યા ન હતાં. કોંગ્રેસ તરફથી આજની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત થયા છે.