માતાજીના પ્રાગટ્ય દિવસે યોજાનાર મહાયજ્ઞમાં ભાગ લેવા ઇચ્છુક યજમાનોની નોંધણી શરૂ થઈ ગઈ છે
Banaskantha,,તા.૧૨
બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિરમાં માતાજીના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ભવ્ય ઉજવણી થશે. પોષી પૂનમ ગુજરાતમાં એક ખાસ દિવસ તરીકે મહત્વ ધરાવે છે. આ દિવસે ગુજરાતના તમામ મા જગદંબાના મંદિરોને શણગારવામાં આવે છે. અંબાજી મંદિરનો શક્તિપીઠમાં સમાવેશ થાય છે.
અંબાજી મંદિરમાં આ વિશેષ દિવસની ઉજવણીને લઈને ઉત્સવ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રદ્દાળુોના ધસારાને ધ્યાનમાં રાખી દર્શન વ્યવસ્થા, ભોજન, શોભાયાત્રા અને મહાશક્તિ યજ્ઞ જેવી બાબતોને લઈને ચર્ચા થઈ હતી. વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉત્સવ સમિતિની બેઠકમાં પોષી પૂનમ એટલે કે પોષ સુદ પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ અને દર્શાનાર્થીઓની સુવિધા અને સલામતી મુદ્દે ભાર મૂકવામાં આવ્યો. આ દિવસે અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાયજ્ઞનું આયોજન પણ કરાયું છે.
માતાજીના પ્રાગટ્ય દિવસે યોજાનાર મહાયજ્ઞમાં ભાગ લેવા ઇચ્છુક યજમાનોની નોંધણી શરૂ થઈ ગઈ છે. મંદિર ટ્રસ્ટની ટેમ્પલ ઇન્સ્પેક્ટર કચેરી દ્વારા સંપર્ક કરી યજમાન બનવા નોંધણી કરાવી શકે છે. આ દિવસે ગબ્બર ટોચ પરથી જ્યોત અંબાજી મંદિરમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આરતી ઉતારી જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ક્રમ જળવાશે અને ગ્રામજનોને જ્યોત યાત્રાનો દર્શનનો લાભ મળશે.
ઉત્સવ સમિતિ દ્વારા અંબાજી મંદિરમાં પોષી પૂનમના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે શક્તિદ્વારાથી હાથી ઉપર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં અંદાજે ૩૫ કરતા વધુ ઝાંખીઓ રજૂ કરાશે. આ ઉપરાંત મંદિરમાં શાકોત્સવ (શાકભાજીનો અન્નકૂટ) અને સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરાશે. જયારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ મંદિરના ચાચરચોકમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હિંદુ પરંપરામાં અનેક ધાર્મિક ઉત્સવો તથા પરંપરાઓ છે. ધાર્મિક માન્યતા મુજબ પ્રતિ માસ આવતી પૂનમનું ખાસ માહાત્મ્ય હોય છે. અનેક શ્રદ્ધાળુઓ પૂનમનું વ્રત રાખતા હોય છે તેમજ માતાજીના દર્શન કરવા જાય છે. ગુજરાતમાં ભાદરવી પૂનમ અને પોષી પૂનમનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને માતાજીના મંદિરોમાં પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂર્ણ કરવા તેમજ ધજા ચઢાવવા જાય છે. આગામી જાન્યુઆરી મહિનામાં આવતી પોષી પૂનમ માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ પોષી પૂનમના દિવસે માં નો હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને માં જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. ગુજરાતના બનાસકાંઠામાં આવેલ અંબાજી મંદિરમાં પોષી પૂનમની ઉજવણીને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.