Nagpur, તા.૧૯
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકાએ પણ ઓસામા બિન લાદેનને તેની જમીન પર દફનાવવાની મંજૂરી આપી ન હતી અને કોઈપણ પ્રકારના મહિમામંડનથી બચવા તેનો મૃતદેહ દરિયામાં ફેંકી દીધો હતો.
શિંદેએ નાગપુર હિંસા પર ગૃહને સંબોધતા વિધાન પરિષદમાં શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે શિવસેના ના નેતા અનિલ પરબ પર કટાક્ષ કર્યો હતો. એકનાથ શિંદેએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબના મહિમામંડન પર સવાલ ઉઠાવ્યા જેમની કબર જમણેરી સંગઠનો વચ્ચે વિવાદનું કારણ બની ગઈ છે. હાલમાં આ કબરને હટાવવાની માગણીઓ થઇ રહી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં કહ્યું, “ઓરંગઝેબ કોણ છે? આપણે શા માટે તેનું આપણા રાજ્યમાં મહિમામંડન થવા દેવું જોઈએ? તે આપણા ઈતિહાસ પર એક કલંક છે.” તેમણે કહ્યું કે મુઘલ બાદશાહે મરાઠા રાજા છત્રપતિ સંભાજીરાજેને ઈસ્લામ ધર્મ સ્વીકારવાનો વિકલ્પ આપ્યો હતો, પરંતુ તેમણે ઇનકાર કર્યો તો નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી દેવામાં આવી.
એકનાથ શિંદેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના શાસનની સરખામણી ઔરંગઝેબના શાસન સાથે કરવા બદલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હર્ષવર્ધન સપકલની ટીકા કરી હતી. તેમણે પૂછ્યું કે , “શું ફડણવીસે ક્યારેય કોઈને ત્રાસ આપ્યો છે જે રીતે ઔરંગઝેબે તેના દુશ્મનો સાથે કર્યું હતું?”
છ પેઢીઓથી ઔરંગઝેબની કબરની સંભાળ રાખનાર અફરોઝ અહમદ કહે છે કે ઔરંગઝેબે તેમના પુત્ર આઝમ શાહને વસિયતનામું કર્યું હતું કે તેમની કબર તેમના ઉસ્તાદ સૂફી સંત હઝરત ઝૈનુદ્દીન શિરાઝીની દરગાહના પરિસર ખુલદાબાદમાં કાચી માટીથી બનાવવામાં આવે. તેમણે કહ્યું કે ઔરંગઝેબે કહ્યું હતું કે તેમની કબર પર કોઈ ગુંબજ કે કોઈ ઈમારત ન બનાવવામાં આવે. તે ગરીબોની કબરની જેમ જ બનાવવામાં આવે… ખુલ્લા આકાશ નીચે અને કાચી. આજે પણ તેમની કાચી કબર ખુલ્લા આકાશ નીચે છે. આ જ કારણ છે કે વરસાદના મહિનામાં ઔરંગઝેબની કબર ભીની થઈ જાય છે.