Bharuchતા.૨૬
ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા એક ઘરમાં હોમ થિયેટર સાઉન્ડ સિસ્ટમ મોટા અવાજથી વગાડવા મુદ્દે ઘરની સામે રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધે અવાજ ઓછો કરવાનું કહેતા દુલ્હન બનનારી યુવતી તથા તેના ભાઈ અને સોસાયટીમાં જ રહેતાં તેના મંગેતરે ભેગા થઈને વૃદ્ધને છાતીનાં ભાગે મુક્કા મારતા, ફેફસા તથા હૃદય ફાટી જતાં શરીરમાં લોહી પ્રસરી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવતા દુલ્હા-દુલ્હન બનનાર અને તેના ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ થતાં ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં કરિશ્માબાનું સાબિર પટેલ (રહે. સુકુન બંગ્લોઝ સોસાયટી) એ ફરિયાદ નોંધાવી છે, જેમાં કરેલા આક્ષેપ મુજબ, ફરિયાદીનાં સસરા ઐયુબ ઈબ્રાહિમ ગુરજી (ઉ.વ.૬૨) એ ઘરની સામે રહેતી ગજાલાબાનું ઈમરાન મન્સુરી પોતાના ઘરમાં હોમ થિયેટરનો સાઉન્ડ મોટા અવાજથી વગાડતા અવાજનો વોલ્યુમ ઓછો કરવા કહ્યું હતું. આથી, ગજાલાબાનું મન્સુરીએ ઐયુબ ગુરજીને ગાળો ભાંડી હતી અને નજીકના ઘરમાંથી તેનો સગીર ભાઈ પણ દોડી આવ્યો હતો તેમજ સોસાયટીમાં જ રહેતાં ગજાલાબાનુ મન્સુરીનો મંગેતર પણ દોડી આવી ત્રણેય જણાએ ભેગા મળી ઐયુબ ગુરજીને છાતી અને પેટનાં ભાગે મુક્કા અને લાતો મારતા ઐયુબભાઈ ગુરજીને ગંભીર ઈજાઓ થતાં તેઓ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ કરવા તાલુકા પોલીસ મથક પહોંચતા ફરિયાદ લખાવતી વેળા જ ઐયુબભાઈ ગુરજી ઢળી પડ્યા હતા. તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં સારવાર મળે તે પહેલા જ રસ્તામાં દમ તોડયો હોવાથી સિવિલ હોસ્પિટલનાં તબીબોએ ઐયુબ ગુરજીને મૃતક જાહેર કર્યા હતાં. મૃતક ઐયુબભાઈ ગુરજીનું મોત હૃદય રોગનાં હુમલાથી થયું કે પછી હુમલાખોરનાં મારથી થયું છે તેના માટે મૃતકને પોસ્ટ મોટમ અને પેનલ પોસ્ટ મોટમ અર્થે ખસેડતાં મૃતકનું મોત ઈજાઓનાં કારણે અને માર મારવાનાં કારણે ફેફસા તથા હૃદય ફાટી જતાં શરીરમાં લોહી પ્રસરી જતાં મરણ થયું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવતા ગજાલાબાનું ઈમરાન મન્સુરી તથા તેના મંગેતર મો.સોબાન ઈમ્તિયાઝ શેખ તથા ગજાલાબાનુનો ભાઈ સામે પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી છે.

