પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ
RAJKOT,તા,02
શહેરના આનંદનગર વિસ્તારમાં બુટલેગરો કાનો ઉર્ફે ટિકિટ, બકાલી સહિતના આવારાતત્વોના ત્રાસ અંગે ગઈકાલે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાને લેખિત રજુઆત કરવામાં આવ્યા બાદ ભક્તિનગર પોલીસે ટિકિટ વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.
અશોકભાઈ મુળુભા ગઢવી નામના પત્રકારે ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ આનંદનગરમાં રહે છે જ્યાં અંદાજિત બે હજાર પરિવારો વસવાટ કરે છે. જ્યાં કાનો ઉર્ફે ટિકિટ નામનો કુખ્યાત બુટલેગર કે જેનું સાચું નામ અમને ખબર નથી. આ શખ્સ તેમની સોસાયટીમાં મોડી રાત્રે પોતાનું બુલેટ મોટરસાયકલ ચલાવી સાઈલેન્સરમાંથી ફટાકડા ફુટે તેવો અવાજ કરીને માનસિક ત્રાસ આપે છે. રહેવાસીઓને હેરાનગતિ નહિ કરવાનું કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, ગત 30 સપ્ટેમ્બરના રાત્રે અગિયાર વાગ્યાં આસપાસ તેઓ અને સોસાયટી લના સાતેક સભ્યો એપાર્ટમેન્ટ નીચે ખુરશી રાખીને બેઠા હતા ત્યારે પોણા બાર વાગ્યાં આસપાસ કાનો ઉર્ફે ટિકિટ ત્યાં આવ્યો હતો અને મારા ખંભા ઉપર હાથ રાખીને કહેલ કે આ મીટીંગ શું કરવા ભરીને બેસેલા છો? શુ મારા વિરધ્ધ પોલીસમાં ફરીયાદ કરવાની છે? જો મારા વિરૂધ્ધમાં કોઈ પોલીસ ફરીયાદ કરશો તો હું છરાથી તારૂ ગળુ કાપી નાખીશ તેમ મને કહીને અમો બધાને ભુંડી ગાળો આપવા લાગ્યો હતો.
જે મામલે ફરિયાદીએ પોલીસ કમિશ્નરને લેખિત રજુઆત કરીને પોલીસ સુરક્ષાની માંગણી કરી હતી જે બાદ ભક્તિનગર પોલીસમાં કાનો ઉર્ફે ટિકિટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.