New Delhi,તા.19
20 જૂનથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા તેના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વગર ઇંગ્લેન્ડની ધરતી પર મેદાનમાં ઉતરશે, પરંતુ આ ટીમ ઈન્ડિયા માટે એક શ્રેષ્ઠ તક પણ હશે જ્યાં તે તેના નવા કેપ્ટન શુભમન ગિલની કેપ્ટનસીમાં રમશે. આ દરમિયાન, ઇંગ્લેન્ડ-ભારત ટેસ્ટ સિરીઝને લઈને આગાહીઓ અને નિવેદનોની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયાના ભાવિ સુપરસ્ટાર વિશે પોતાનો અભિપ્રાય જણાવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટે શુભમન ગિલ કે સાઈ સુદર્શનને નહીં પરંતુ યશસ્વી જયસ્વાલને આગામી સુપર સ્ટાર ગણાવ્યો છે. તેમજ એડમ ગિલક્રિસ્ટે જયસ્વાલની બેટિંગ આક્રમકતા, આત્મવિશ્વાસ અને ટેસ્ટ ક્રિકેટમાં તેની ટેકનિકની પણ પ્રશંસા કરી છે.
પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતની ટેસ્ટમાં જયસ્વાલે સેન્ચુરી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની ઉછાળવાળી પિચ પર યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ભારત તરફથી સિરીઝનો ટોપ સ્કોરર રહ્યો હતો. તેમજ તેણે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 391 રન બનાવ્યા. આ દરમિયાન તેણે પર્થમાં 161 રનની શાનદાર સેન્ચુરી અને 2 ફિફ્ટી પણ ફટકારી હતી. જોકે, પહેલી ટેસ્ટ જીતવા છતાં, ભારત ઓસ્ટ્રેલિયા સામે 3-1થી સિરીઝ હારી ગયું. જયસ્વાલ છેલ્લી 4 સિરીઝમાં 3 વખત ભારત માટે ટોપ સ્કોરર રહ્યો છે. એવામાં હવે 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી 5 ટેસ્ટ મેચની સિરીઝમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઇશ્વરન, કરુણ નાયર, નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), શોએબ બશીર, જૈકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટોન, ઓલી પોપ, જો રૂટ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.